Last Updated on by Sampurna Samachar
વતનની વાટે મુસાફરોની ૫ કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
સુરતના ઉધન સ્ટેશન પર આજે મોટી ભીડ એકઠી થઈ ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે માનવ મહેરામણ એ રીતે ઉભરાયું કે તંત્રના તમામ આયોજનો વામણા સાબિત થયા. ઉનાળુ વેકેશન, લગ્નસરાની સિઝન અને મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે સર્જાયેલી ગેસ સિલિન્ડરની અછત વચ્ચે હજારો શ્રમિકોએ વતનની વાટ પકડી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.

ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે ઉધના સ્ટેશનની બહાર અંદાજે ૫ કિલોમીટર લાંબી લાઈનો જાેવા મળી હતી. મુસાફરો ગઈકાલ સાંજથી, એટલે કે ૧૬-૧૬ કલાકથી ધોમધખતા તાપમાં લાઈનમાં ઉભા છે. આ ભીડમાં નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની હાલત કફોડી બની છે.
પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી
પીવાના પાણી માટે પડાપડી થઈ રહી છે અને શેડની સુવિધા ન હોવાથી લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. ગરમીના કારણે એક મુસાફર બેભાન થઈ જવાની ઘટના પણ બની હતી, જેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો.
રેલવેના સત્તાવાર નિવેદન મુજબ, કેટલાક મુસાફરો બેરિકેડ્સ ઓળંગીને સ્ટેશનમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેના કારણે ભાગદોડ સર્જાવાનો ભય હતો. આ સ્થિતિને રોકવા માટે પોલીસે લાઠીઓ વીંઝવી પડી હતી. સ્ટેશન પર વિશાળ પોલીસ કાફલો અને ટીમ તૈનાત કરવામાં આવી છે જેથી ટિકિટ વગરના મુસાફરોને રોકી શકાય.
ટ્રેનોની અછતને કારણે સ્થિતિ એવી છે કે ૧૦૦ મુસાફરોની ક્ષમતા ધરાવતા ડબ્બામાં ૪૦૦ થી ૫૦૦ લોકો ખીચોખીચ ભરાઈને મુસાફરી કરી રહ્યા છે.
ઘણા મુસાફરોને ટોયલેટ પાસે કે દરવાજા પર લટકીને જવાની ફરજ પડી રહી છે. તંત્ર સામે એવો પણ આક્ષેપ ઉઠ્યો છે કે પરિસ્થિતિની જાણ હોવા છતાં માત્ર બે જ રિઝર્વ ટ્રેનો રાખવામાં આવી હતી. પશ્ચિમ રેલવેએ અફવાઓથી બચવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે આજે અત્યાર સુધીમાં અંદાજે ૨૧,૦૦૦ મુસાફરોને ટ્રેનો દ્વારા રવાના કરવામાં આવ્યા છે.
ભીડને પહોંચી વળવા માટે આજે રાત્રે ૯:૪૦ કલાકે સુરતથી જયનગર માટે એક ખાસ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. ભારે જહેમત બાદ બે ટ્રેનો રવાના કરવામાં આવી છે, તેમ છતાં હજુ પણ હજારો મુસાફરો ટ્રેનમાં જગ્યા ન મળતા સ્ટેશન પર અટવાયા છે અથવા વીલા મોઢે પરત ફરી રહ્યા છે.