Last Updated on by Sampurna Samachar
પરિવારોના મોભીએ જ પત્ની, માતા અને પુત્રની કરી હત્યા
એક શખ્સે ઘરમાં રહેલી કુહાડી વડે પોતાની માતા, પત્ની અને પુત્રના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામમાં ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પરિવારના મોભીએ જ કોઈ અગમ્ય કારણોસર પોતાની સગી જનેતા, પત્ની અને માત્ર બે વર્ષના નિર્દોષ પુત્ર પર કુહાડી વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સંગ્રામપુરામાં રહેતા એક શખ્સે ઘરમાં રહેલી કુહાડી વડે પોતાની માતા, પત્ની અને પુત્રના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ત્રણેય સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આટલું જ નહીં, હુમલો કરનાર વ્યક્તિનું પણ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેના કારણે આ કેસ વધુ ગૂંચવાયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના પાછળ પારિવારિક ઝઘડો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.
ઘટનાની જાણ થતા જ ખેડબ્રહ્મા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં ચૂંટણીના મતદાનના બંદોબસ્તને કારણે પોલીસ ફોર્સ વ્યસ્ત હોવાથી હજુ સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. જાેકે, પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મતદાનનો બંદોબસ્ત પૂર્ણ થયા બાદ આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ બાદ જ હત્યા પાછળનું સાચું કારણ અને ઘટનાક્રમની સ્પષ્ટ વિગતો બહાર આવશે