Last Updated on by Sampurna Samachar
ભાજપે વિનોદ આર્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
પિડીત પરિવારને ૪ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટે ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. આ હત્યા કેસમાં કોર્ટે પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત ઠેરવ્યા છે. ત્રણેયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પુલકિત આર્ય તત્કાલીન ભાજપ નેતા વિનોદ આર્યના પુત્ર છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ ભાજપે વિનોદ આર્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
અંકિતા ભંડારી હત્યા કેસમાં પુલકિત આર્યને આઈપીસીની વિવિધ કલમો હેઠળ આજીવન કેદ અને દંડની સજા ફટકારવામાં આવી હતી. તેના સહ-આરોપી સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને પણ આજીવન કેદ અને દંડની સજા ફટકારવામાં આવી હતી. પીડિત પરિવારને ૪ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ત્રણેય પોતાનું જીવન જેલના સળિયા પાછળ વિતાવશે
કોર્ટે પુલકિત આર્યનને અનૈતિક વ્યાપાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ દોષિત ઠેરવ્યો છે અને આ જ કેસમાં તેના સહ-આરોપી સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને આઈપીસીની કલમ ૩૦૨, ૨૦૧ અને આઈટીપીએ એક્ટની કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે અને સજા ફટકારવામાં આવી છે. હવે આ ત્રણેય પોતાનું જીવન જેલના સળિયા પાછળ વિતાવશે.
હત્યાકાંડની ગૂંજ દિલ્હી સુધી પહોંચી હતી. અંકિતા ભંડારી હત્યા કેસ સામે આવ્યા બાદ ઉત્તરાખંડથી દિલ્હી સુધી હંગામો મચી ગયો હતો. આખા દેશની નજર આ કેસ પર ટકેલી હતી. આ મામલાની તપાસ માટે સરકારે SIT ની રચના કરી હતી. જે પછી આ કેસમાં સુનાવણી બે વર્ષ અને આઠ મહિના સુધી ચાલી, જેમાં ફરિયાદ પક્ષ વતી ૯૭ લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા હતા, પરંતુ માત્ર ૪૭ મહત્વપૂર્ણ સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટમાં બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ફેંસલો આપ્યો છે. આ કેસમાં SIT એ ૫૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં ફરિયાદ પક્ષે હોટલ વનતારાના માલિક પુલકિત આર્ય અને ત્યાં કામ કરતા સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને આરોપી બનાવ્યા હતા. પૌડી જિલ્લાના યમકેશ્વરની રહેવાસી ૧૯ વર્ષીય અંકિતા વનતારા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ, અંકિતા અહીંથી ગાયબ થઈ ગઈ. જે બાદ ૨૪ સપ્ટેમ્બરના રોજ ચીલા પાવર હાઉસની નહેરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અંકિતાનો પુલકિત આર્ય સાથે ઝઘડો થયો હતો, જેના પગલે પુલકિતે રિસોર્ટના સ્ટાફ સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તા સાથે મળીને અંકિતાને ઋષિકેશની ચીલા કેનાલમાં ધકેલી દીધી હતી, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. શરૂઆતની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે પુલકિતે અંકિતા પર ખાસ સેવા આપવા માટે દબાણ કર્યું હતું, પરંતુ અંકિતાએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી.