Last Updated on by Sampurna Samachar
ચૂંટણીમાં ૭૩૧ બેઠકો પર મતદાનનો હક છીનવાશે
મતદારો પોતાના મતનો ઉપયોગ નહિ કરી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતની ચૂંટણીમાં પહેલીવાર એવું મળ્યું કે, ઘરમાં મતદાર કાર્ડ છે, મતદાર યાદીમાં નામ પણ છે, છતાં મતદારો પોતાના મતનો ઉપયોગ નહિ કરી શકે. દેશમાં લોકશાહી છે, પરંતુ રાજકારણના ખેલને કારણે પહેલીવાર ૭૩૧ બેઠકો પરના નાગરિકો પોતાના મતનો ઉપયોગ નહિ કરી શકે. જેનું મોટું કારણ એ છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં પહેલીવાર ૭૩૧ બેઠકો બિનહરીફ થઈ છે.

ગુજરાતની ચૂંટણીમાં પહેલીવાર રેકોર્ડબ્રેક ૭૩૧ બેઠકો ગુજરાતમાં બિનહરીફ થઈ ગઈ છે. ભાજપ તેને પોતાની જીત ગણાવી રહ્યું છે. પરંતું આ મતદારોની હાર છે. લોકશાહીમાં મતદાન કરવાનો હક દરેક નાગરિકને છે. રાજકીયો પક્ષો કાવાદાવા કરીને ચૂંટણી જ રદ કરાવી દે છે.
રાજકીય પક્ષોના ખેલમાં મતદારોનો શું વાંક ગણી શકાય
હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિનહરીફ થયેલી ૭૩૧ બેઠકો પર કોઈ મતદાન નહિ થાય, એટલે નાગરિકોને પણ પોતાની મરજીનો પ્રતિનિધિ કરવાનો મોકો નહિ મળે.
ગુજરાતમાં ચૂંટણીઓ બિનહરીફ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. પરંતું ગુજરાત સ્થાનિક ચૂંટણીઓમાં ૭૩૧ બેઠકો બિનહરીફ થવું એ પણ લોકશાહીનું હનન છે. કારણ કે, લાખો મતદારો પોતાના મતાધિકારથી વંચિત રહી જશે. રાજકીય પક્ષોના ખેલમાં મતદારોનો શું વાંક ગણી શકાય.
ચૂંટણી જ ન થાય, તો ચૂંટણી કેવી હોય છે તેનાથી નવી પેઢી અજાણ રહી જશે. હાલ સત્તાપક્ષ તો પોતાની આ જીતને ગર્વથી વધાવી રહ્યું છે, પરંતુ મતદારોનું કોઈ વિચારતું નથી. હવે જનતામાં પોતાના મતના મૂલ્ય અને ‘નોટા‘ના અધિકારને લઈને ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
બિનહરીફ વિજયી બનાવા પરન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ચૂંટણી પરિણામો પહેલા જ જનતાએ ભાજપનો ઐતિહાસિક વિજય નક્કી કરી દીધો છે. ગુજરાતમાં ભાજપના કુલ ૭૨૦ ઉમેદવારો અત્યાર સુધીમાં બિનહરીફ વિજેતા જાહેર થયા. વિપક્ષોને ઉમેદવારો મળતા નથી અને સમજુ લોકોએ સામેથી ફોર્મ પરત ખેંચ્યા છે.
કોંગ્રેસના શાસનમાં રસ્તાના ઠેકાણા નહોતા, ત્યારે ભાજપે ગામેગામ પાકા રસ્તા બનાવ્યા. ગામડાઓમાં પણ હવે શહેરોની જેમ ૨૪ કલાક વીજળી અને પાયાની સુવિધાઓ મળે છે. લુખ્ખા તત્વો સામે પોલીસ એવી કડક કાર્યવાહી કરશે કે દાદાગીરી ભૂલી જશે.
મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાઈ રહેલી ઐતિહાસિક ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થતા જ હવે જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લામાં કુલ ૮૫ બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે ૩૮૨ બેઠકો માટે રાજકીય પક્ષો વચ્ચે સીધો મુકાબલો શરૂ થયો છે. જો કે ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવારોને મતદારોના આકરા સવાલો અને સ્થાનિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરામાં કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના સેક્રેટરી રામકિશન ઓઝાએ કહ્યું કે, ભાજપે લોકશાહી પધ્ધતિથી ચૂંટણી યોજાવાના બદલે ધાકધમકીથી ફોર્મ પાછા ખેંચાવ્યા છે.
ભાજપનો જો મજબૂત જનાધાર હોય તો કેમ બિનહરીફ કરવા આટલું દબાણ કર્યું. પોલીસ, પ્રશાસનનો દુરુપયોગ કરી ફોર્મ પાછા ખેંચાવ્યા છે. ભાજપની આ પધ્ધતિના વિરોધમાં અમે ધરણા કરીશું. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશીએ કહ્યું કે, સરકારી મશીનરીનો દુરુપયોગ કરે છે.
ચૂંટણી પહેલા જ ગોંડલ નગર પાલિકામાં ભાજપનો કબજો થયો છે. ગોંડલ નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ જયરાજસિંહ જાડેજાએ મોટો ખેલ પાડ્યો હતો. ગોંડલ નગરપાલિકાની ૪૪ માંથી ૨૩ સીટ બિનહરીફ થઈ છે. ૧૨ ઉમેદવારોના ટેકેદારો ખસી ગયા, તો ૧૧ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચી ભાજપને ટેકો જાહેર કર્યો. આમ, હાલ આમ આદમી પાર્ટીના માત્ર બે ઉમેદવારો જ ગોંડલ નગર પાલિકામાં ચૂંટણી લડી રહ્યા છે.