Last Updated on by Sampurna Samachar
મોટા પ્રમાણમાં ઠંડા પીણાં પીવાથી કેન્સરનુ જોખમ વધી જાય છે
૩૫ કિલો સીરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉનાળાની સિઝનમાં બરફના ગોળા માટે લોકો દીવાના થઇ જતા હોય છે. પરંતુ આ ગોળો ખાવો એ કેટલો આરોગ્યપ્રદ છે. તે માટે સુરત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બરફના ગોળાના સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧૮ પૈકી ૪ સેમ્પલ ફેલ જતાં તંત્ર એલર્ટ થઈ ગયું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે ૩૫ કિલો સીરપ અને ક્રીમનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. અને વિક્રેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. ઉનાળો શરૂ થતાં ઠંડા શરબત, આઈસક્રીમ, બરફના ગોળા, આઈસ ડીશ સહિતની અનેક ઠંડક આપતી વાનગીઓ ખાવા લોકો ઉમટી પડે છે. ત્યારે શહેરમાં બરફનો ગોળો ખાતા લોકોએ સાવચેત થઈ જવાની જરૂર છે.
SMC દ્વારા કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઇ
શહેરમાં આઈસ ગોળા ના ૧૮ પૈકી ૪ સેમ્પલ ફેલ થયા હતા. ૧૫ દિવસ અગાઉ વિક્રેતાઓના ત્યાં સેમ્પલ લેવાયા હતા. સુરત મનપાએ અલગ–અલગ ૧૩ જગ્યાએથી નમૂના લીધા હતા. સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. ખાદ્ય વિભાગે ૩૫ કિલો સીરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો છે. SMC દ્વારા કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે.
અભ્યાસો દર્શાવે છે કે મોટી માત્રામાં ઠંડા પીણા, બરફનાં ગોળા ખાવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. ૬૦,૦૦૦ થી વધુ યુવાનો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. જે લોકો દર અઠવાડિયે ૨ કે તેથી વધુ કોલ્ડ ડ્રિંક્સ પીતા હતા તેમને સ્વાદુપિંડનું કેન્સર થવાનું જોખમ ૮૭ ટકા વધી ગયું હતું. તે જ સમયે, અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રજોનિવૃત્તિ પછીની સ્ત્રીઓમાં ઠંડા પીણાના વધુ પડતા સેવનની આદતને કારણે એન્ડોમેટ્રાયલ કેન્સર એટલે કે ગર્ભાશયનું કેન્સર થઈ શકે છે.
ઠંડા પીણાં અથવા સીરપમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે. વધુ પડતા વપરાશથી ઇન્સ્યુલિન પ્રતિકાર વધી શકે છે. જે ટાઈપ-૨ ડાયાબિટીસ તરફ દોરી શકે છે. આટલું જ નહીં, જેમને ડાયાબિટીસની સમસ્યા હોય તેઓ ઠંડા પીણા પીવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. અભ્યાસો દર્શાવે છે કે જો તમે દરરોજ ઠંડા પીણાની બોટલ પીતા હોવ તો ટાઇપ-૨ ડાયાબિટીસનું જોખમ અનેકગણું વધી જાય છે.