પાકિસ્તાન સામેના સિંધુ નદી પ્રણાલી જળસંધિ મામલો ગરમાયો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કોઈપણ નદીનું પાણી રોકી દેવું શક્ય નથી તે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ભારતને પશ્ચિમી નદીઓ પર બંધ બનાવવાની મંજૂરી નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)

પહેલગામ આતંકવાદી હુમલાને પગલે તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ નદી પ્રણાલીની જળસંધિનો મામલો ગરમાઇ રહ્યો છે. ભારત જો સિંધુ નદીનું પાણી રોકી દે તો પાકિસ્તાન તરસે મરી જાય, એવી થિયરી વ્યક્ત કરનારા એ હકીકત નથી સમજતાં કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિના કોઈપણ નદીનું પાણી રોકી દેવું શક્ય નથી.

પાકિસ્તાનમાં વહી જતાં પાણીને સંગ્રહિત કરવું હોય તો ભારતે ભાખરા નાંગલ બંધના કદ જેટલા ઓછામાં ઓછા ૨૨ ડેમ બાંધવા પડે એમ છે. સરકારી રૅકોર્ડ મુજબ, પશ્ચિમી નદીઓમાંથી દર વર્ષે સરેરાશ ૧૩૬ MAF (મિલિયન એકર ફૂટ) પાણી વહે છે. ૧ MAF પાણી ૧૦ લાખ એકર જમીન એટલે કે દિલ્હી-NCR પ્રદેશ કરતાં ત્રણ ગણા વિસ્તારને ૧ ફૂટ ઊંડા પાણીમાં ડુબાડી શકે છે. જો પશ્ચિમી નદીઓમાંથી વહેતું બધું પાણી રોકી દેવામાં આવે તો એટલું પાણી ૪૨૨૪૧ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા સમગ્ર જમ્મુ-કાશ્મીરને ૧૩ ફૂટ પાણીમાં ડુબાડી દે.

નદી પર બંધ બાંધીને પાણીનો સંગ્રહ કરાય તો એમાંથી વીજળી પણ ઉત્પન્ન કરી શકાય અને સિંચાઈ પણ કરી શકાય. જોકે, સિંધુ નદી જળ સંધિ ભારતને પાકિસ્તાનને ફાળવવામાં આવેલી પશ્ચિમી નદીઓ પર બંધ બનાવવાની મંજૂરી આપતી નથી. તેથી, હાલમાં સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીઓ પર ભારતનો એક પણ બંધ નથી. હા, આ નદીઓ પર ભારતને ‘રન ઑફ ધ રિવર’ પ્રોજેક્ટ ચલાવવાની છૂટ છે અને ભારત એવા પ્રોજેક્ટ્સ ચલાવે પણ છે. જોકે, એના જળાશયોમાં પણ ભારતને ૩.૬ MAF  થી વધુ પાણી સંગ્રહવાની છૂટ નથી.

‘રન ઑફ ધ રિવર’ પ્રોજેક્ટ એ એક પ્રકારની હાઇડ્રોઈલેક્ટ્રિક પાવર ઉત્પાદન યોજના છે. એમાં વીજળી ઉત્પન્ન કરવા માટે નદીના કુદરતી પ્રવાહ, ઊંચેથી આવતા પાણીના પ્રવાહનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં મોટા બંધ કે જળાશય બાંધવાના હોતા નથી. નદીના કુદરતી પ્રવાહને જ સીધા ટર્બાઇન તરફ વાળવામાં આવે છે. આવા પ્રોજેક્ટમાં અમુક હદ સુધીના નાના બંધ બાંધવાની છૂટ હોય છે.

હાલમાં સ્થિત એવી છે કે જમ્મુ અને કાશ્મીરના તમામ જળાશયો મળીને પણ સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીના વાર્ષિક પ્રવાહનો એક ટકા પાણી પણ સમાવી શકતા નથી. પશ્ચિમી નદીઓ પર હાલમાં ભારતના છ જળવિદ્યુત પ્રોજેક્ટ— સલાલ, કિશનગંગા, બાગલીહાર, ઉરી, દુલ્હસ્તી અને નિમુ બાઝગો— ચાલી રહ્યા છે. જોકે, તેમાંથી કોઈ પણ બંધ તરીકે વર્ગીકૃત થયેલ નથી, દરેક પ્રોજેક્ટ તેના જળાશયમાં સતત કામગીરી માટે થોડું પાણી રાખે છે.

જળસંચયની માત્રામાં વધારો થશે

ઉપરોક્તના છ બંધ હાલમાં ત્રણ નદીઓમાં વહેતા પાણીના વાર્ષિક જથ્થાના માત્ર ૦.૪ ટકા પાણી ધરાવે છે. રાજ્યમાં નિર્માણાધીન તમામ જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા પછી આ ક્ષમતામાં ૨ ટકાનો વધારો થવાની ધારણા છે.

કિશ્તવાડ જિલ્લામાં ચિનાબ નદીની ઉપનદી પર ભારત હાલમાં ‘પાકલ દુલ’ પ્રોજેક્ટ બનાવી રહ્યું છે. આ ‘રન ઑફ ધ રિવર’ પ્રોજેક્ટમાં ભારતને ૧૨૫.૪ મિલિયન ઘન મીટર અથવા ૦.૧ MAF પાણી સમાવવાની છૂટ છે.

એ ઉપરાંત રટલે, ક્વાર અને કિરુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પણ હાલમાં નિર્માણાધીન છે. તેમનું બાંધકામ નવેમ્બર ૨૦૨૧ અને મે ૨૦૨૨ની વચ્ચે શરુ થયું હતું અને આવતા વર્ષે ફેબ્રુઆરી અને નવેમ્બરની વચ્ચે પૂર્ણ થવાની અપેક્ષા છે.

નજીકના ભવિષ્યમાં ઓછામાં ઓછા ત્રણ વધુ બંધ સાવલકોટ, બુરસર અને કિરાથાઈ-૨ બનાવવાની ભારતની યોજના છે. આ બંધો સંયુક્તપણે પાણીનો જે જથ્થો સંગ્રહ કરશે એના લીધે પાકિસ્તાનમાં પાણીનો પ્રવાહ ચોક્કસપણે પ્રભાવિત થશે.

નિષ્ણાતો કહે છે કે પશ્ચિમી નદીઓ પર બંધ બાંધવાથી ભારતને મોટી આર્થિક અને પર્યાવરણીય કિંમત ચૂકવવી પડશે. પર્યાવરણીય રીતે સંવેદનશીલ એવું જમ્મુ અને કાશ્મીર કુદરતી આફતોમાં ઘેરાઈ જશે. આવી આફતોમાં ભૂસ્ખલન, ભૂકંપ અને હિમનદી તળાવ ફાટવાથી પૂરનું જોખમ સર્જાઈ શકે એમ છે.

બંધ જેવું તોતિંગ બાંધકામ ગમે ત્યાં ઊભું નથી કરી દેવાતું. એના માટે ભૌગોલિક અનુકૂળતા, આસપાસના પર્યાવરણ પર પડનારી અસરો, જમીનનું બંધારણ, ડૂબમાં જતો વિસ્તાર અને જનવિસ્થાપન જેવી ઘણી બાબતો ધ્યાનમાં લેવી પડે છે. પાકિસ્તાનને ફાળે ગયેલી ત્રણ નદીઓ પૈકી ચિનાબ પર બંધ બાંધવાના અનુકૂળ સ્થળો પ્રમાણમાં વધુ છે. બંધ બાંધીને રોકેલા પાણીનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થતો હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલમાં પણ નદીઓ અને ઉપનદીઓ દ્વારા ખેતી માટેના પાણીની સારી વ્યવસ્થા ઉપલબ્ધ હોવાથી નવા બંધોએ રોકેલા પાણીનું કરવું શું? એવો પ્રશ્ન ઊભો થશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.