Last Updated on by Sampurna Samachar
આપના ઉમેદવારનું નાટક ખુલ્લું પડ્યું: ફાયરિંગ થયાની વાત ખોખલી
ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલ ચૂંટણીના ગરમાવા વચ્ચે ઉના ખાતે ગત મોડી રાત્રે આપ (આમ આદમી પાર્ટી)ના ઉમેદવાર અજય બાંભણિયા પર કથિત ફાયરિંગ થયાની ઘટના અંગે શરૂઆતમાં ભારે ચકચાર મચી હતી, પરંતુ સમગ્ર મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આ મુદ્દે ગીર સોમનાથના એસપી જયદીપસિંહ ઝાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને સત્તાવાર રીતે ઘટનાની હકીકતો જાહેર કરી છે. જે સામે આવતા જ પોતાના પર ફાયરિંગ થઈ હોવાનો દાવો કરનાર આપ ઉમેદવાર અજય બાંભણિયા પોતે સવાલોના ઘેરામાં આવ્યા છે અને આ મામલે અસમંજસ સર્જાઈ છે.

વિગતવાર કરીએ તો ૨૩મી એપ્રિલની રાત્રે ઉનાના તપોવન વિસ્તાર નજીક આપ ઉમેદવાર અજય બાંભણિયા પર ફાયરિંગ થયાની વાત સામે આવતા જ પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બની ગયું હતું. ઘટના રાજકીય રીતે પણ સંવેદનશીલ હોવાથી ઉના શહેર સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો હતો. વિવિધ રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો. પરંતુ પોલીસની ઝડપી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવેલી તપાસે આ કથિત ફાયરિંગના દાવાને ખોટા સાબિત કર્યા છે.
ફાયરિંગના ખોટા દાવા પાછળના કારણો
સમગ્ર મામલે હાલ ગીર સોમનાથ પોલીસ જયદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હચમચાવતા ખુલાસા કર્યા છે. એસપીના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (હ્લજીન્) ના રિપોર્ટ અનુસાર ઘટના સ્થળે કોઈ ફાયરિંગ થયાનું પુરવાર થતું નથી. એટલે કે, જે રીતે ફાયરિંગની ઘટના રજૂ કરવામાં આવી હતી તે વાસ્તવિકતા સાથે મેળ ખાતી નથી. આ ખુલાસો થતાં સમગ્ર મામલો એકદમ નવી દિશામાં વળી ગયો છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ફરિયાદી અજય બાંભણિયા જ્યારે રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે તેમના કપડાંમાંથી એક જીવતું કારતૂસ નીચે પડ્યું હતું. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનમાં લગાવવામાં આવેલા ઝ્રઝ્ર્ફ કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી. આ મહત્વપૂર્ણ પુરાવાને આધારે પોલીસે ફરિયાદી સામે જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કારતૂસ મામલે ગુનો નોંધ્યો છે.
એસપી જયદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, અજય બાંભણિયા સામે ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેનાથી તેમની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઊભા થાય છે. હાલ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ફાયરિંગના ખોટા દાવા પાછળના કારણો, કોઈ રાજકીય હેતુ કે વ્યક્તિગત લાભ મેળવવાનો પ્રયાસ હતો કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
હાલ આ સમગ્ર ઘટનાએ એક તરફ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા છે, તો બીજી તરફ ખોટી માહિતી દ્વારા સમાજમાં ભય અને ગેરસમજ ફેલાવવાના પ્રયાસો સામે પણ ચેતવણી આપી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આવા કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને હકીકત સામે લાવવા માટે તમામ વૈજ્ઞાનિક અને કાનૂની પગલાં લેવામાં આવશે.