Last Updated on by Sampurna Samachar
અભિયાનની શરૂઆતના દિવસે સુરતમાં ખાસ દ્રશ્યો સર્જાયા
સી.આર.પાટીલે પરિવાર સાથે ઓનલાઈન નોંધણી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશવ્યાપી વસ્તી ગણતરી પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોને સ્વયં પોતાની વસ્તી ગણતરી કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. રાજ્યભરના નાગરિકો હવે ૩૧ મે સુધી ઓનલાઈન માધ્યમથી પોતાના પરિવારની વિગતો નોંધાવી શકશે. આ અભિયાનની શરૂઆતના દિવસે સુરતમાં ખાસ દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદએ પોતાના નિવાસસ્થાનેથી પરિવાર સાથે ઓનલાઈન વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન તેમજ ડેપ્યુટી કમિશનર નીધિ સીવાચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વસ્તી ગણતરી માટે નિયુક્ત અધિકારીઓ અને ટીમ પણ સી.આર.પાટીલના નિવાસસ્થાને પહોંચી હતી અને સમગ્ર પ્રક્રિયાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ડિજિટલ પદ્ધતિથી વસ્તી ગણતરી વધુ ઝડપી અને પારદર્શક બનશે
માહિતી મુજબ, નવી વ્યવસ્થા હેઠળ નાગરિકો હવે મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા જાતે જ પોતાના પરિવારના સભ્યોની વિગતો ઓનલાઈન નોંધાવી શકે છે. તેમાં પરિવારના સભ્યોના નામ, ઉંમર, શિક્ષણ, વ્યવસાય સહિતની જરૂરી વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ લોકોનો સમય બચાવવા સાથે માહિતી વધુ ચોકસાઈથી એકત્રિત કરવાનો છે.
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલએ પરિવાર સાથે ઓનલાઈન પોર્ટલ મારફતે પોતાના પરિવારના તમામ સભ્યોના નામ અને જરૂરી વિગતો નોંધાવી હતી. તેમણે આ પહેલને “ડિજિટલ ઇન્ડિયા” તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેમણે નાગરિકોને પણ સમયસર સ્વ-વસ્તી ગણતરી પૂર્ણ કરવાની અપીલ કરી હતી જેથી સરકારને વિકાસલક્ષી યોજનાઓ માટે ચોક્કસ અને અપડેટેડ માહિતી મળી શકે.
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ નવી ડિજિટલ પદ્ધતિથી વસ્તી ગણતરી વધુ ઝડપી અને પારદર્શક બનશે. સાથે જ લોકોને ઘરે બેઠા સરળતાથી માહિતી નોંધાવવાની સુવિધા મળતા સરકારી કર્મચારીઓ પરનો ભાર પણ ઘટશે. નાગરિકોને ઓનલાઈન પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવા માટે ખાસ હેલ્પડેસ્ક અને ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં પ્રથમવાર આ પ્રકારની સ્વ-વસ્તી ગણતરી પ્રક્રિયાને મોટા પાયે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકારનો પ્રયાસ છે કે વધુમાં વધુ લોકો ડિજિટલ માધ્યમ અપનાવે અને ટેકનોલોજી આધારિત જનગણનાને સફળ બનાવે. હવે રાજ્યભરના નાગરિકો માટે ૩૧ મે સુધીનો સમય આપવામાં આવ્યો છે, જેમાં તેઓ પોતાનું અને પોતાના પરિવારનું ડેટા ઓનલાઈન નોંધાવી શકશે. સરકાર તરફથી લોકોને વહેલી તકે નોંધણી પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.