Last Updated on by Sampurna Samachar
PM મોદીએ વિદેશ પ્રવાસ અધવચ્ચે છોડી ભારત આવી હાઇલેવલ બેઠક કરી
કેન્દ્રીય ગૃહમંત્રીએ હુમલાના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના પ્રવાસ કેન્દ્ર પહેલગામમાં નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની હત્યા કરનારા ઈસ્લામિક આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મીડિયા અને સોશિયલ મીડિયામાં એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાર ઈસ્લામિક આતંકીઓ બંદૂકો સાથે દેખાય છે. જોકે આ ફોટો એ જ જેહાદીઓનો છે કે કેમ તે હજુ સત્તાવાર જાણવા મળ્યું નથી.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં લગભગ ૨૬ નિર્દોષ લોકોના જીવ ગયા. આ આતંકવાદી હુમલા બાદ આ ભયાનક હત્યાકાંડમાં સામેલ ૩ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. આ ભયાનક આતંકવાદી હુમલામાં આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હાનો સમાવેશ હોવાની શંકા છે.
છ ઈસ્લામિક જેહાદી આતંકવાદીઓનો સમાવેશ
આતંકવાદીઓની તસવીર જાહેર થતાં સેના અને સ્થાનિક પોલીસની વિશેષ ટીમો આ આતંકવાદીઓની શોધમાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ, આ હુમલામાં કુલ છ ઈસ્લામિક જેહાદી આતંકવાદીઓનો સમાવેશ થતો હતો. સુરક્ષા એજન્સીઓએ આ પહેલાં આતંકવાદીઓના ત્રણ સ્કેચ પણ જાહેર કર્યા હતા. કેન્દ્રીય એજન્સીના સૂત્રો મુજબ, પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LET) સાથે સંકળાયેલા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ હુમલાની જવાબદારી લીધી છે.
સેનાના ઓપરેશન વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિત શાહ તે સ્થળે પણ ગયા હતા. જ્યાં ઈસ્લામિક આતંકવાદીઓએ આ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૨૬ લોકોના જીવ ગયા છે, જ્યારે લગભગ ૨૦ લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓની શોધ માટે વિસ્તારમાં સેના સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
પહેલગામ (PAHALGAM) હુમલાને પગલે વડાપ્રધાન મોદી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેમને આ હુમલાની માહિતી મળતાં જ તેમણે સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડી સ્વદેશ પરત ફર્યા હતા. મામલાની ગંભીરતાને સમજીને વડાપ્રધાન મોદીએ એક પણ ક્ષણ બગાડ્યા વિના એરપોર્ટ પર હાઈ લેવલ મીટિંગ યોજી હતી.
આ મીટિંગમાં સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ હાજર રહ્યા. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીએ આ હુમલામાં સામેલ આતંકવાદીઓને આકરો જવાબ આપવા અને તેમનો સાથ આપનારાઓ પર પણ સખત કાર્યવાહી કરવાની વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે આ અતિ મહત્વની મીટિંગમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ હાજર રહ્યા હતા. વડાપ્રધાનની વિદેશ મુલાકાતથી પરત ફર્યા બાદ તરત જ યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય મીટિંગમાં હુમલાની ગંભીરતા, આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ અને સુરક્ષા રણનીતિઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.