Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસ-આપને બૂરું પરિણામ મળ્યું છે. મોટાભાગની મનપામાં વિપક્ષના પણ ફાંફા જોવા મળી રહ્યા છે
મોટાભાગની મનપામાં વિપક્ષના પણ ફાંફા જોવા મળી રહ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આ પાલિકા-પંચાયતની ચૂંટણી ગુજરાતમાં પહેલાથી અસ્તિત્વ ધરાવતી ૬ અને ગત વર્ષે નવી જાહેર થયેલી ૯ મળીને કુલ ૧૫ જેટલી મહાનગરપાલિકા પર ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ભગવો લહેરાયો છે. તમામ ૧૫ મહાનગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ જોવા મળી છે અને કોંગ્રેસ-આપનો રકાસ (બૂરું પરિણામ) મળ્યું છે. મોટાભાગની મનપામાં વિપક્ષના પણ ફાંફા જોવા મળી રહ્યા છે.

ગુજરાત રાજ્યની ૧૫ મહાનગરપાલિકાના કુલ ૨૬૧ વોર્ડ પર ચૂંટણી યોજાઈ હતી. આ માટે કુલ ૫,૮૮૬ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૧૩૩ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. રદ થયેલા ફોર્મની સંખ્યા ૨,૬૬૫ છે. જ્યારે કુલ બેઠકોમાંથી ૪૩ બેઠક બિન-હરીફ રહી છે.
લગભગ ૧૯.૬૯ લાખ મતદાન થયું
ખાસ ગુજરાતના ચાર મેટ્રો સિટી એટલે કે મહાનગરનો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની વાત કરીએ તો, અમદાવાદ મહાનગરપાલિકામાં ૧૯૨માંથી ૧૫૮ બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે ૩૨ બેઠક કોંગ્રેસને ફાળે જઈ છે. આવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાની ૭૨ બેઠકમાંથી ૬૫ પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે બાકીની ૭ પર કોંગ્રેસે બાજી મારી છે, તો વડોદરા મહાનગરપાલિકાની ૭૬માંથી ૬૭ પર ભાજપે જ્યારે ૬ બેઠક પર કોંગ્રેસે અને સુરત મનપામાં ૧૨૦માંથી ૧૧૫ ભાજપ અને ૧ કોંગ્રેસ તથા ૪ અપક્ષ ઉમેદવારો પર જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ખાસ જાન્યુઆરી ૨૦૨૫માં નવી બનેલી મહાનગર પાલિકાની વાત કરીએ તો, મોરબી અને પોરબંદર (જૂની) મનપાની તમામ ૫૨ સીટો બીજેપીએ જીતી છે, જ્યારે નવી મનપા નડિયાદ અને સુરેન્દ્રનગરમાં એક એક કોંગ્રેસને ફાળે જતા ભાજપે ૫૨માંથી ૫૧ સીટો પર કબજો કર્યો છે. જ્યારે જૂની જામનગર મહાનગરપાલિકામાં ૬૪માંથી ૫૯ બેઠક પર ભાજપ અને બાકીની ચાર બેઠકમાંથી ૨ કોંગ્રેસે અને ૨ અપક્ષે બાજી મારી છે.
વધુમાં નવી બનેલી વાપી મનપામાં ૫૨માંથી ૩૬ બેઠક પર ભાજપ અને બાકીની ૧૧ બેઠકો માટે જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ દર્શાવ્યો છે, આવી જ રીતે આણંદ મનપાની પહેલી ચૂંટણીમાં ૫૨માંથી ૩૧ પર ભાજપ અને ૮ બેઠક પર કોંગ્રેસ, જ્યારે મહેસાણામાં ૫૨માંથી ૪૭ પર ભાજપ અને બાકીની ૫ પર કોંગ્રેસ, તો ભરૂચ, ગોધરા અને નવસારી મહાનગરમાં પણ કંઈક આવી સ્થિતિ જોવા મળી રહી છે.
નોંધનીય છે કે, કુલ ભરાયેલ ફોર્મમાંથી અમદાવાદમાં ૫૬%, સુરતમાં ૫૩%, રાજકોટમાં ૫૬% અને વડોદરામાં ૪૪% ફોર્મ રદ થયા છે. બીજી તરફ પોરબંદરમાં સૌથી વધારે (૧૧) અને કરમસદ-આણંદ (૧૨)માં બેઠક બિન-હરીફ રહી છે. કુલ પરત ખેંચાયેલા ૧૩૩ ફોર્મમાં કરમસદ-આણંદ (૧૭), સુરેન્દ્રનગર (૧૫), નડિયાદ અને પોરબંદર (૧૨) સામેલ છે.
કુલ ૧૫ મહાનગરપાલિકાઓમાં મતદાન યોજાયું હતું, જેમાં સરેરાશ મતદાન ટકાવારી લગભગ ૫૭% થી ૫૮% આસપાસ રહી છે. સૌથી વધુ મતદાન વાપી મહાનગરપાલિકામાં ૭૨.૨૯% નોંધાયું છે, જે તમામ શહેરોમાં સૌથી આગળ છે. આ ઉપરાંત મોરબી (૬૫.૬૫%), નવસારી (૬૫.૨૮%), અને નડિયાદ (૬૩.૬૬%) જેવી મહાનગરપાલિકાઓમાં પણ ઊંચી મતદાન ટકાવારી જોવા મળી છે.
સૌથી ઓછું મતદાન ગાંધીધામ મહાનગરપાલિકામાં માત્ર ૪૬.૦૩% નોંધાયું છે, જે તમામમાં સૌથી ઓછું છે. તેની સાથે પોરબંદર (૪૮.૮૪%) અને અમદાવાદ (૫૧.૮૧%), રાજકોટ (૫૧.૫૯%) જેવા મોટા શહેરોમાં પણ મતદાન ટકાવારી પ્રમાણમાં ઓછી જોવા મળે છે. કુલ મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ જોવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકા સૌથી મોટી છે, જેમાં ૩૮ લાખથી વધુ મતદારો છે અને તેમાંમાંથી લગભગ ૧૯.૬૯ લાખ મતદાન થયું છે. સુરત મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ મતદાન સંખ્યા (૧૪.૬૬ લાખથી વધુ) નોંધાઈ છે. વડોદરા (૫૩.૩૪%), સુરેન્દ્રનગર (૫૪.૬૭%), ભાવનગર (૫૪.૮૪%) અને જામનગર (૫૮.૧૪%) જેવા શહેરોમાં મધ્યમ સ્તરનું મતદાન જોવા મળ્યું છે.