Last Updated on by Sampurna Samachar
રામ મંદિર હિંદુ સમાજની આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું પ્રમુખ કેન્દ્ર
દોષિતો સામે કડક કાર્યવાહીની માંગણી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યામાં રામલલા મંદિરનો ચઢાવો ચોરી થવાની ઘટના પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ કડક નિવેદન જાહેર કર્યું છે. સંઘે કહ્યું કે, આ ઘટના માત્ર ચોરીનો મામલો નથી, પરંતુ આનાથી કરોડો રામ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને ઊંડો આઘાત પહોંચ્યો છે. સંઘે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવાની સાથે મંદિર મેનેજમેન્ટ અને વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે.

RSS ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે, શ્રી રામ જન્મભૂમિ પર બનેલું ભવ્ય મંદિર પેઢીઓના સંઘર્ષ, કરોડો રામ ભક્તોના સમર્પણ, ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. આ જ કારણ છે કે, આ મંદિર સમગ્ર હિંદુ સમાજની આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું પ્રમુખ કેન્દ્ર છે.
UP સરકારે વિશેષ તપાસ ટીમની રચના કરી
આવા સમયમાં અયોધ્યા સ્થિત શ્રી રામલલા મંદિરના દાન પાત્રોમાં જમા થયેલી ધનરાશિની ચોરીની ઘટના અત્યંત કમનસીબ છે. સંઘે કહ્યું કે, આ ઘટનાથી સમગ્ર સમાજ અને રામ ભક્તોની લાગણીઓ દુભાઈ છે. તેથી આ મામલાને સામાન્ય ગુનાની જેમ નહીં, પરંતુ કરોડો લોકોની આસ્થા સાથે જાેડાયેલા ગંભીર વિષય તરીકે જાેવો જાેઈએ.
સંઘે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના આગ્રહ પર ઉત્તર પ્રદેશ સરકારે આ મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરી છે. તપાસ ટીમની ભલામણના આધારે કાનૂની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
સંઘે સ્પષ્ટ કહ્યું કે, તપાસમાં જે પણ વ્યક્તિ દોષિત સાબિત થાય, તેની સામે કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત થવી જોઈએ. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે, ન્યાય ત્યારે જ પૂરો થયેલો ગણાશે, જ્યારે દોષિતોને કાયદા મુજબ સખત સજા મળશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું કે, આ ઘટનાને અસાધારણ ગણીને મંદિર મેનેજમેન્ટે વ્યવસ્થા અને સંચાલનની તમામ ખામીઓને દૂર કરવા માટે અસરકારક પગલાં ભરવા જોઈએ. સંઘના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં જે ભ્રમ અને મૂંઝવણની સ્થિતિ ઊભી થઈ છે, તેને વહેલી તકે સમાપ્ત કરવી જરૂરી છે. આ માટે મંદિર મેનેજમેન્ટ અને તંત્ર દ્વારા ગઠિત વિશેષ તપાસ ટીમ જરૂરી પહેલ કરે. સંઘે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સુદ્રઢ નાણાકીય સંચાલન, સંપૂર્ણ પારદર્શિતા, મજબૂત દેખરેખ વ્યવસ્થા અને ધાર્મિક પવિત્રતાના વાતાવરણ દ્વારા શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરોડો શ્રદ્ધાળુઓનો વિશ્વાસ વધુ મજબૂત કરશે.
પોતાના નિવેદનના અંતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમગ્ર હિંદુ સમાજને ધૈર્ય અને સંયમ જાળવી રાખવાની અપીલ કરી છે. સંઘે કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં સમાજે ભાવનાઓમાં વહી જવાને બદલે જવાબદારીનો પરિચય આપવો જોઈએ. સાથે જ એવું પણ કહ્યું કે, આ કમનસીબ ઘટનાનો લાભ ઉઠાવીને હિંદુ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી શક્તિઓ હિંદુ ધર્મ તથા સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરી શકે છે.
આવા કોઈપણ ષડયંત્રને નિષ્ફળ બનાવવું એ સમગ્ર સમાજની જવાબદારી છે. સંઘે ભરોસો વ્યક્ત કર્યો કે, નિષ્પક્ષ તપાસ, પારદર્શી વ્યવસ્થા અને અસરકારક સુધારાઓ દ્વારા મંદિરની ગરિમા, પવિત્રતા અને કરોડો રામ ભક્તોની આસ્થા પહેલાની જેમ જ અખંડ રહેશે.