Last Updated on by Sampurna Samachar
ગુજરાતમાં બે સગા ભાઈઓ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સંગ્રામ
આણંદના તારાપુર નગરપાલિકા ચૂંટણીમાં ચંદુભાઈ માધાભાઈ પરમાર અને પૂનમભાઈ પરમાર મતદારો પાસે મત માંગવા નીકળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ માત્ર સત્તાના સમીકરણો જ નથી બદલ્યા, પણ અનેક પરિવારોના ઘરના આંગણામાં લક્ષ્મણરેખા ખેંચી દીધી છે. જે ઘરના ઉંબરે ક્યારેક સુખ-દુ:ખ વહેંચાતા હતા, ત્યાંથી બે અલગ-અલગ વિચારધારાઓ નીકળી છે. ક્યાંક સાસુ-વહુ સામસામે છે. તો ક્યાંક દેરાણી-જેઠાણી. પણ ચર્ચાનો વિષય બન્યો છે તારાપુર નગરપાલિકામાં આવી જ ઘટના સામે આવી છે, જેમાં બે સગા ભાઈઓ વચ્ચે હવે રાજકીય દિવાલ સર્જાઈ છે.

તારાપુર નગરપાલિકાનો વોર્ડ નંબર-૬. આ માત્ર એક ભૌગોલિક વિસ્તાર નથી, પણ હવે એક લાગણીશીલ રણમેદાન બની ગયો છે. મેદાનમાં છે બે સગા ભાઈઓ ચંદુભાઈ માધાભાઈ પરમાર અને પૂનમભાઈ માધાભાઈ પરમાર ચૂંટણી જંગમાં સામસામે છે. એક સમયે જેઓ ખભેખભા મિલાવીને ચાલતા હતા, જેમના સંસ્કાર અને લોહી એક છે. તેમની વચ્ચે કમળ અને પંજો વચ્ચે આવી ગયા છે.
કુટુંબનો સ્નેહ કે પક્ષની વિચારધારા?
વિચારવા જેવી વાત એ છે કે, જે પૂનમભાઈ પરમાર બે-બે વખત ધારાસભ્ય તરીકે જનતાની સેવા કરી ચૂક્યા છે. તેઓ આજે કોંગ્રેસના નિશાન પર મેદાનમાં છે. તો બીજી તરફ, દુભાઈ પરમા્ર ભાજપના ઉમેદવાર તરીકે પોતાના જ ભાઈ સામે પડકાર ફેંકી રહ્યા છે
રાજકારણની આ કેવી કરુણતા છે. એક જ માના બે સંતાનો, જેઓ ક્યારેક એક જ થાળીમાં જમતા હતા, આજે જનતાના દરબારમાં એકબીજાને હરાવવા નીકળ્યા છે. જાહેર જીવનમાં સાથે ડગ માંડનારા આ ભાઈઓ આજે વિચારધારાના નામે જુદા પડ્યા છે. તારાપુરની જનતા પણ અસમંજસમાં છે એક તરફ જૂનો અનુભવ છે. તો બીજી તરફ મજબૂત પડકાર.
સવાલ એ નથી કે જીત કોની થશે? સવાલ એ છે કે શું આ ચૂંટણીના પરિણામો પછી એ સંબંધોમાં પહેલા જેવી મીઠાશ રહેશે? શું રાજકીય વિચારધારા લોહીના સંબંધો કરતા મોટી થઈ જશે? તારાપુરની આ પહેલી જ નગરપાલિકાની ચૂંટણીએ લોકોના મનમાં એક જ પ્રશ્ન જગાડ્યો છે. શું પસંદ કરશે મતદારો? કુટુંબનો સ્નેહ કે પક્ષની વિચારધારા?
હવે આનો ર્નિણય તો મતદારોની આંગળીના ટેરવે છે. જ્યારે ઈવીએમનું બટન દબાશે, ત્યારે માત્ર ભવિષ્ય જ નહીં, પણ એક પરિવારની લાગણીઓનું પણ પરીક્ષણ થશે. પરિણામ જે પણ આવે, પણ તારાપુરનો આ જંગ ઈતિહાસમાં સંબંધો વિરુદ્ધ સત્તાના જંગ તરીકે જરૂર યાદ રખાશે.