Last Updated on by Sampurna Samachar
ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ
ખેડૂતોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઉનાળુ મગ પાક માટે રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રવર્તમાન સમયમાં વિવિધ APMC ખાતે ઉનાળુ મગનો બજાર ભાવ રૂ. ૬,૭૭૨ પ્રતિ ક્વિન્ટલ જેટલો ચાલી રહ્યો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મગના ઓછા ભાવથી રાજ્યના કોઈપણ ખેડૂતને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
VCE મારફતે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી થશે
ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે ૧૫ મે, ૨૦૨૫ થી આગામી તા.૨૫ મે ૨૦૨૫ સુધીમાં રાજ્યના ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. આ નોધણી માટે ખેડૂતોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.