Last Updated on by Sampurna Samachar
આગામી સપ્તાહ સુધી વંટોળ, વરસાદ અને કરા પડવાની આગાહી
ખેડૂતોનો શક્કરટેટીનો પાક બગડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કમોસમી વરસાદે બનાસકાંઠા જિલ્લા ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવ્યો છે. શનિવારે રાત્રીના પડેલા કરા સાથે વરસાદના લીધે શક્કરટેટીના પાકને નુકસાન પહોંચ્યું છે. અમીરગઢ તાલુકાના ઈકબાલગઢના ખેડૂતને ૧૮ વીઘા શક્કર ટેટીના પાકને નુકસાન પહોંચતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. આ સાથે ગુજરાતમાં જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાંના ખેડૂતો પણ માથે હાથ દઈને બેઠા છે.
ઇકબાલ ગઢના મુકેશભાઈ માળી નામના ખેડૂતે ૧૮ વીઘામાં ટેટીનું વાવેતર કર્યું હતું. કરા સાથે પડેલા કમોસમી વરસાદના લીધે શક્કરટેટી બગડી જતા ૮થી ૧૦ લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતની માંગ છે કે, સરકાર સર્વે કરાવીને નુકસાનનું વળતર આપે. નોંધનીય છે કે, વહેલી સવારથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વંટોળ અને કરા પણ પડ્યા છે. જેના કારણે જગતના તાતના માથે ચિંતાના વાદળો છવાયા છે.
લગ્નગાળાની સિઝનમાં માવઠું
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાલનપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે કરા પડ્યા છે. આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં આ સપ્તાહ વંટોળ, વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે. તો કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે.
બનાસકાંઠાના ઘણા ભાગોમાં મોડી રાતે કમોસમી વરસાદ સાથે ગાજવીજ સાથે કરા પડ્યા છે. પાલનપુર, દાંતીવાડા, ધાનેરા, થરાદ સહિત રાજસ્થાનને અડીને આવેલા તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠામાં મોડી રાતે ધોધમાર કમોસમી વરસાદ વરસતા બનાસકાંઠાના ઘણા તાલુકાઓમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાત્રે ૧૨થી બે વાગ્યા સુધી દાંતીવાડામાં ૧૮ મિમિ વરસાદ થયો છે. તેજ પવન અને વીજળીના કડાકાભડાકા સાથે માવઠું થયું છે. લગ્નગાળાની સિઝનમાં માવઠું થતા લોકોને હાલાકી પડી છે. માવઠાથી ખેતીના પાકને નુકસાનની ભીતિ છે.