Last Updated on by Sampurna Samachar
ઇંદર કૌરનુ રહસ્યમયી મોત મામલે ચાહકોમાં રોષ
કેનેડામાં રહેતા એક તરફી પ્રેમી પર હત્યા કર્યાની શંકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ ખબર સામે આવી છે. લોકપ્રિય પંજાબી ગાયિકા ઈંદર કૌર જે છેલ્લા કેટલાક દિવસોથી લાપતા હતી તેની લાશ લુધિયાણાની એક નહેરમાંથી મળી આવી છે. પંજાબની લોકપ્રિય ગાયિકાનું રહસ્યમય સંજોગોમાં ગાયબ થવું અને પછી તેને લાશ મળવા મામલે ઇન્ટરનેટ પર તેના ચાહકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.. ગાયિકાના પરિવારનો આક્ષેપ છે કે એક તરફી પ્રેમમાં પાગલ એક વ્યક્તિએ પંજાબી સિંગરનું અપહરણ કર્યું અને પછી તેની હત્યા કરી છે. આ મામલે પોલીસ દરેક એન્ગલની તપાસ કરી રહી છે.

ઈંદર કૌર પંજાબી મ્યુઝીક ઇન્ડસ્ટ્રીઝનું જાણીતું નામ છે. ઈંદર કૌરે ખૂબ ઓછા સમયમાં પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પોતાની મજબૂત જગ્યા બનાવી. ઈંદર કૌર તેના પારંપરિત લોકગીતો માટે અને સ્ટેજ પરફોર્મન્સ માટે જાણીતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈંદર કૌર ૧૩ મે ના રોજ પોતાના ઘરેથી સામાન લેવા નીકળી હતી. ત્યાર પછી તે ઘરે પરત ફરી નહીં.
પોલીસ તરફથી હજુ કોઇ નિવેદન બહાર આવ્યુ નથી
પરિવારના લોકોએ તેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ રહ્યા. કલાકો પછી પણ ઈંદર કૌર ઘરે પરત ન ફરતા પરિવારના લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ૧૩ મેથી રહસ્યમય સંજોગોમાં લાપતા થનારી પંજાબી સિંગરનો મૃતદેહ હવે લુધિયાણાની એક નહેરમાંથી મળી આવ્યો છે.
આ સમગ્ર મામલે ઈંદર કૌરના પરિવારનું કહેવું છે કે પંજાબી સિંગર પર ઘણા સમયથી એક વ્યક્તિ લગ્ન માટે પ્રેશર કરી રહ્યો હતો. પોલીસ તપાસમાં પણ એવું સામે આવ્યું છે કે ઈંદર કૌર મોગામાં રહેતા સુખવિંદર સિંહ નામના એક વ્યક્તિને ઓળખતી હતી જે કેનેડામાં રહે છે. ઈંદર કૌરના પરિવારે આ વ્યક્તિ પર જ હત્યાના આ ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.
પંજાબી સિંગર ઈંદર કૌરના પરિવારનું કહેવું છે કે સુખવિંદર પહેલાથી જ પરણિત છે અને તેને બાળકો પણ છે પરંતુ તે ઈંદર કૌરના એક તરફી પ્રેમમાં હતો જેના કારણે તે ગાયિકા પર ઘણા સમયથી લગ્ન માટે પ્રેશર કરી રહ્યો હતો. પંજાબી સિંગરે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દેવાથી રોષે ભરાયેલા સુખવિંદર સિંહે ઈંદર કૌરની હત્યાનું ષડયંત્ર રચ્યું છે, તેવું ઇન્દર કોરના પરિવારનું કહેવું છે.
મહત્વનું છે કે પોલીસ અધિકારીઓ પરિવારના નિવેદન પરથી એક તરફી પ્રેમ, બળજબરીથી લગ્નનું પ્રેશર, અપહરણ અને હત્યા એમ તમામ એંગલને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. પંજાબી સિંગરના મોત મામલે પોલીસ તરફથી હજુ સુધી હત્યા, અપહરણ કે અન્ય કોઈ કારણનું સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.