Last Updated on by Sampurna Samachar
ટેક્સપેયર્સને ઈનકમ ટેક્સ વિભાગે આપી મોટી રાહત
આવકવેરા વિભાગે પોસ્ટમાં શેર કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટેક્સપેયર્સ માટે એક મોટી ખુશખબરી આવી છે. ઈનકમ ટેક્સ વિભાગે માહિતી આપી છે કે, ઓડિટ રિપોર્ટ અને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ કરી દેવામાં આવી છે. જે લોકો ઓડિટ કેસોમાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા અથવા ડેડલાઇનને લઈને ચિંતિત હતા, તેમના માટે આ એક રાહતની ખબર છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈનકમ ટેક્સ વિભાગે જણાવ્યું છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ એ ૩૧ ઓક્ટોબરની જૂની તારીખને વધારીને ૧૦ ડિસેમ્બર કરવાની જાહેરાત કરી છે. આવકવેરા વિભાગે પોસ્ટમાં શેર કર્યું કે, અસેસમેન્ટ વર્ષ ૨૦૨૫-૨૬ માટે જેમને સેકશન ૧૩૯(૧) હેઠળ રિટર્ન ફાઇલ કરવું પડે છે (જેઓની ડ્યુ તારીખ પહેલા ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ હતી), તેમના માટે હવે આ તારીખ વધારીને ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ કરી દેવામાં આવી છે. આ ર્નિણય સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસએ લીધો છે. એટલે કે હવે તમે કોઈ પેનલ્ટી વગર ડિસેમ્બર સુધી તમારી રિટર્ન ફાઇલ કરી શકો છો.
ઓછામાં ઓછો એક મહિનાનો ગેપ હોવો જોઈએ
આ પહેલા ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ હતી. પછી CA ઇન્સ્ટિટ્યુશન અને ટેક્સ પ્રોફેશનલ્સની ભલામણને ધ્યાનમાં રાખીને ડેડલાઇન વધારીને ૩૧ ઓક્ટોબર સુધી કરી દેવામાં આવી હતી. હવે વિભાગે ફરીથી લોકોને રાહત આપી છે અને અંતિમ તારીખ હવે ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ છે.
જો તમારા બિઝનેસનો ટર્નઓવર એક વર્ષમાં ૧ કરોડ રૂપિયા કરતા વધુ છે, અથવા ૧૦ કરોડ સુધી છે અને કેશ ટ્રાન્ઝેક્શન ૫% કરતા ઓછું છે, તો તમને ઓડિટ કરાવવું જરૂરી છે. પ્રોફેશનલ્સ માટે આ મર્યાદા ૫૦ લાખ રૂપિયાની વાર્ષિક આવક છે. એટલે કે ડોક્ટર, વકીલ, અથવા આવા અન્ય પ્રોફેશનલ્સ જેમની ગ્રોસ રિસીપ્ટ્સ ૫૦ લાખથી વધુ છે, તેમણે પણ ઓડિટ કરાવવું પડે છે.
જો કોઈ ટેક્સપેયર્સ અથવા કંપની સમયસર ઓડિટ રિપોર્ટ જમા કરતી નથી તો આવકવેરા અધિનિયમની કલમ 271B હેઠળ પેનલ્ટી લાગી શકે છે. આ પેનલ્ટી કુલ વેચાણના ૦.૫% સુધી હોઈ શકે છે, પરંતુ વધુમાં વધુ ૧.૫ લાખ રૂપિયા સુધી. હા, જો તમે સાબિત કરી શકો કે વિલંબનું કોઈ મજબૂત કારણ હતું, જેમ કે ટેકનિકલ સમસ્યા અથવા વ્યક્તિગત ઇમરજન્સી, તો પેનલ્ટીમાંથી છૂટ મળી શકે છે.
ટેક્સપેયર્સને રાહત આપવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસએ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૫થી વધારીને ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ કરી છે. હાઈકોર્ટના દબાણ અને ટેક્સપેયર્સની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ ડેડલાઇન વધારવામાં આવી છે.
ગુજરાત, પંજાબ અને હરિયાણા, અને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે આ મામલામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ કોર્ટોએ CBDT ને ફટકાર લગાવી હતી કે, ટેક્સ ઓડિટ રિપોર્ટ અને ITR ફાઇલ કરવાની તારીખો વચ્ચે ઓછામાં ઓછો એક મહિનાનો ગેપ હોવો જોઈએ.