Last Updated on by Sampurna Samachar
જિલ્લાના આરોગ્ય વિભાગ પર ગંભીર આરોપ
ડૉક્ટરે હાડકાના ઓપરેશન માટે ગેરકાયદે વસૂલાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જિલ્લા કલેક્ટર કચેરી પર એક લાચાર માતા પોતાની ૧૪ વર્ષની માનસિક અસ્વસ્થ દીકરીને લઈને ન્યાયની માંગ માટે પહોંચી હતી. વાત કરીએ તો આ પીડિત વિધવા મહિલાએ જિલ્લાના આરોગ્ય વિભાગ પર સારવારના નામે ગેરકાયદે વસૂલી અને ઘોર બેદરકારી દાખવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

માહિતી મુજબ મહિલાનો આરોપ છે કે, ‘સરકારી હોસ્પિટલના ડૉક્ટરે મારી દીકરીની યોગ્ય સારવાર માટે માત્ર પૈસાની જ માંગણી નહોતી કરી, પરંતુ ખોટી રીતે સારવાર કરીને મારી માસૂમ દીકરીના પગને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે.‘
કર્મચારીઓ કે ડોક્ટરોની બેદરકારી હશે તો પગલાં લેવાશે
પીડિત માતા રેશમાએ જણાવ્યું કે, ‘લગભગ દોઢ મહિના પહેલાં જિલ્લા હોસ્પિટલમાં મારી દીકરીના જમણા પગના હાડકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ માટે હોસ્પિટલના કર્મચારીઓએ મારી પાસે ૨૫,૦૦૦ની માંગ કરી હતી. મેં વિધવા હોવાનું જણાવીને આટલી રકમ આપવામાં અસમર્થતા વ્યક્ત કરી, તો તેઓએ સારવાર કરવાનો જ ઈનકાર કરી દીધો હતો.
ત્યારબાદ મેં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી, જેમણે ચીફ મેડિકલ ઓફિસરને મફત સારવાર કરવાનો આદેશ આપ્યો. આમ છતાં હોસ્પિટલના કર્મચારીઓએ મારી પાસેથી ૮,૦૦૦ રૂપિયા લઈ લીધા અને બાકીના પૈસા પછીથી ચૂકવવાનું કહ્યું હતું. પરંતુ જ્યારે તેમને બાકીના પૈસા ન મળ્યા તો તેમણે ફરી હાડકું તોડી નાખ્યું.‘
મહિલાને ડોક્ટરે થોડા દિવસો પછી ચેકઅપ માટે આવવા કહ્યું હતું જેથી કરીને દીકરીનું ઘૂંટણ વાળી શકાય. જ્યારે મહિલા તેની દીકરીને લઈને હોસ્પિટલ પહોંચી, ત્યારે ઓપરેશન કરનાર ડૉક્ટર ચતુર્વેદીએ દીકરીનું ઘૂંટણ જબરદસ્તીથી વાળી દીધું હતું. આ દરમિયાન માસૂમ બાળકી પીડાના લીધે ચીસ પાડી ઉઠી હતી અને તેના પગમાંથી હાડકું તૂટવાનો અવાજ આવ્યો હતો, તેમ છતાં ડૉક્ટરોએ તેને ત્યાંથી ભગાડી મૂકી હતી. ત્યારબાદ જ્યારે બાળકીના પગનો એક્સ-રે કરાવવામાં આવ્યો, ત્યારે તેમાં હાડકું તૂટેલું હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે પરેશાન માતાએ મોટા ડૉક્ટરોને ફરિયાદ કરી, પરંતુ કોઈએ તેની વાત નહોતી સાંભળી.
આ સમગ્ર ગંભીર મામલે મુઝફ્ફરનગરના ચીફ મેડિકલ ઓફિસર સુનિલ તેવતિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. સીએમઓનું કહેવું છે કે, ‘બીજા પક્ષની વાત સાંભળ્યા વિના અત્યારે આ મામલે કંઈપણ કહેવું ઉતાવળ ગણાશે. જોકે, તેમણે ખાતરી આપી છે કે આ આખા પ્રકરણની ગંભીરતાથી તપાસ કરાવવામાં આવશે. જો તપાસમાં હોસ્પિટલના કર્મચારીઓ કે ડોક્ટરોની કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આવશે, તો તેમની સામે કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.‘