Last Updated on by Sampurna Samachar
બનાસકાંઠાના યુવકનુ ગીતા મંદિર બસ સ્ટેન્ડથી થયુ હતુ અપહરણ
કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી
આગળની તપાસ માટે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ભરચક ગણાતા ગીતામંદિર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ધોળે દિવસે ચોંકાવનારુ અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ખંડણીના ઈરાદે કરવામાં આવેલા યુવકના અપહરણના કેસમાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે ભોગ બનનારને પાટણ જિલ્લાના શંખેશ્વર પાસેથી હેમખેમ મુક્ત કરાવ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડા ગામના વતની છગનનાથ જોગનાથ ગત ૩૦ ડિસેમ્બરના રોજ ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે આવેલી ‘રજવાડી ચા’ની હોટલ પાસે ઉભા હતા. બપોરે ૧ વાગ્યાના સુમારે એક રીક્ષામાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ છગનનાથને બળજબરીપૂર્વક રીક્ષામાં બેસાડી દીધા હતા અને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
જૂની અદાવતમાં અપહરણ કર્યાનો ચોંકાવનારો ખૂલાસો
અપહરણકારોએ છગનનાથને ગોંધી રાખી તેના પરિવાર પાસે ૪ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જો પૈસા ન મળે તો યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી.
કેમેરા ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપીઓ પીડિતને લઈને શંખેશ્વર તાલુકાના પીરોજપુરા ગામે છુપાયેલા છે. પોલીસે ત્યાં દરોડો પાડીને હરેશ ચતુરભાઈ ઠાકોર , નરેશ ચતુરભાઈ ઠાકોર અને તલાજી વરસંગજી ઠાકોર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી હરેશ અને નરેશના પિતાએ આર્થિક તંગી દૂર કરવા માટે પીડિતના સસરા પાસે કોઈ વિધિ કરાવી હતી. આ વિધિમાં સફળતા ન મળતા આરોપીઓ નારાજ હતા અને તે અદાવત રાખીને જ જમાઈ છગનનાથનું અપહરણ કર્યું હતું.
અપહરણ દરમિયાન પીડિતને માર મારવામાં આવ્યો હતો, જેથી તેના લોહીવાળા કપડાં પણ આરોપીઓએ બદલાવી નાખ્યા હતા. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી માટે કાગડાપીઠ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.