Last Updated on by Sampurna Samachar
આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પણ કોર્ટ આરોપીને સરન્ડરનો આદેશ ન આપી શકે
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશની સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અને કોર્ટના અધિકારક્ષેત્રને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈપણ આરોપીની આગોતરા જામીન અરજીને ફગાવી દેવી એ કોર્ટનો અધિકાર છે. જો કે અરજી ફગાવતી વખતે કોર્ટ પાસે એ શક્તિ નથી કે તે આરોપીને સંબંધિત ટ્રાયલ કોર્ટ સામે આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. આ મામલો છેતરપિંડી અને બનાવટના આરોપી એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશન સાથે જોડાયેલો હતો.
અરજદારે અનિવાર્યપણે સરન્ડર કરવું જ પડશે
ખંડપીઠે સુનાવણી દરમિયાન ન્યાયિક સીમાઓ વિશે વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોર્ટ આગોતરા જામીન ફગાવવા માંગતી હોય, તો તે કરી શકે છે. પરંતુ કોર્ટ પાસે એ કહેવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી કે અરજદારે અનિવાર્યપણે સરન્ડર કરવું જ પડશે.
આ સમગ્ર મામલો ઝારખંડ હાઈકોર્ટના એક જૂના આદેશથી ઉદ્ભવ્યો હતો. હાઈકોર્ટે જમીન વિવાદ સંબંધિત એક કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. અરજી ફગાવવાની સાથે જ હાઈકોર્ટે આરોપીને નિર્દેશ આપ્યો હતો કે તે નીચલી કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરે અને નિયમિત જામીન માટે અરજી કરે. રિપોર્ટ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જેમાં આરોપી પર ભારતીય દંડ સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા. જેમાં કલમ ૩૨૩ એટલે કે સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી, ૪૨૦-છેતરપિંડી, ૪૬૮ એટલે કે છેતરપિંડીના હેતુથી બનાવટ અને ૪૭૧-બનાવટી દસ્તાવેજનો ઉપયોગ સામેલ છે.
ઝારખંડ હાઈકોર્ટે આરોપીની બીજી આગોતરા જામીન અરજીને એ આધારે ફગાવી દીધી હતી કે કેસમાં કોઈ નવા સંજાેગો સામે આવ્યા નથી. હાઈકોર્ટે તેના અગાઉના આદેશ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તે આદેશમાં કોર્ટે સતેન્દર કુમાર અંતિલ વિરુદ્ધ સીબીઆઈ કેસના ચુકાદાનો હવાલો આપતા આરોપીને ટ્રાયલ કોર્ટમાં સરન્ડર કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ દૃષ્ટિકોણને ખોટો ગણાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રકારનો નિર્દેશ સંપૂર્ણપણે અધિકારક્ષેત્ર વિના આપવામાં આવ્યો હતો. આગોતરા જામીનનો ઉદ્દેશ્ય ધરપકડથી સુરક્ષા પ્રદાન કરવાનો છે. કોર્ટને લાગે છે કે રાહત ન આપવી જાેઈએ, તો તે અરજીને અસ્વીકાર કરી શકે છે. પરંતુ તે આરોપી પર આત્મસમર્પણ/સરન્ડર કરવાનું દબાણ લાવી શકે નહીં.