Last Updated on by Sampurna Samachar
કરજણની કાનમ પેપર મિલમાં ભીષણ આગ લાગી
આગનું કારણ છુપાવવા મિલ માલિકે મીડિયા સાથે દાદાગીરી હોવાની ચર્ચા થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધવાટ રોડ પર આવેલી એક પેપર મિલમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે મિલના ગોડાઉનમાં રહેલો પેપરનો જથ્થો જોતજોતામાં બળીને ખાખ થઈ ગયો હતો. જો કે, આ ઘટના દરમિયાન મિલ માલિકના મીડિયા સાથેના વર્તનને લઈને મોટો વિવાદ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ, કાનમ પેપર નામની મિલના ગોડાઉન વિભાગમાં આજે અચાનક આગ લાગી હતી. પેપર મિલ હોવાથી આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ કરજણ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
આગ લાગવા પાછળનું કારણ વધુ રહસ્યમય બન્યું
આગની આ ઘટનાના સમાચાર કવર કરવા માટે પહોંચેલા પ્રેસ અને મીડિયાના પ્રતિનિધિઓ સાથે મિલ માલિકે અભદ્ર વર્તન અને દાદાગીરી કરી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આગ લાગવાનું કારણ અને નુકસાનની વિગતો છુપાવવા માટે મિલ માલિકે મીડિયા કર્મીઓ પર રોફ જમાવ્યો હતો અને તેમને કવરેજ કરતા અટકાવ્યા હતા. મિલ માલિકના આ પ્રકારના નકારાત્મક વલણને કારણે આગ લાગવા પાછળનું કારણ વધુ રહસ્યમય બન્યું છે.
પેપર મિલમાં લાગેલી આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે અન્ય કોઈ કારણોસર, તે હજુ સ્પષ્ટ થયું નથી.સ્થાનિકોમાં ચર્ચા છે કે આગનું કારણ છુપાવવા માટે જ મિલ માલિક દ્વારા મીડિયા સામે દાદાગીરી કરવામાં આવી છે. હાલ ફાયર વિભાગ આગને સંપૂર્ણપણે ઓલવવા માટે કામગીરી કરી રહ્યું છે.