Last Updated on by Sampurna Samachar
ટાયર ફાટતાં પીકઅપ પલટી, ૨ના મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં ગાડી ઉપર સૂતેલા શ્રમિકો નીચે રોડ પર પટકાતા બે શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલની ગુંદાળા ચોકડી પાસે ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી જેતપુર તરફ જઈ રહેલી બોલેરો પીકઅપનું ટાયર ફાટતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે ગાડી બ્રિજની દીવાલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ગાડી ઉપર સૂતેલા શ્રમિકો નીચે રોડ પર પટકાતા બે શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર, બોલેરો પીકઅપમાં માછીમારીની જાળ અને પાંચ જેટલા ગેસના ખાલી સિલિન્ડર ભરેલા હતા. આ સામાનની ઉપર આશરે ૧૫ જેટલા શ્રમિકો સૂતા હતા. જ્યારે પીકઅપ ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ટાયર ફાટતા ગાડી બેકાબૂ બની હતી અને બ્રિજની સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઉપર સૂતેલા શ્રમિકો હવામાં ફંગોળાઈને સીધા ૩૦ ફૂટ નીચે પટકાયા હતા.
આ ઘટનાને લઈને લોકો સ્થળ પર પહોંચી ગયા હતા. ૧૦૮ની રાહ જાેયા વગર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી માનવતા દાખવી હતી. આ દુર્ઘટનામાં રીતેષ સહની અને અજાણ્યા શ્રમિકનું મોત નિપજ્યું હતું. જ્યારે ગુલાબ રામબલી સહની,શની અજય સહની, વિકાસકુમાર મીતલેશ સહની અને ચંદન નરેશ માજી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તો પૈકી એકની હાલત અત્યંત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોના પરિવારજનોની ભારે ભીડ જોવા મળી રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.