Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી
૧૧ યુવાનો નહાવા પડ્યા જેમાં ૮ ના મોત થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનાસ (BANAS) નદીમાં ન્હાવા પડેલા યુવકોના મોતની મોટી દુર્ઘટના સર્જાઇ હતી. મળતી માહિતી અનુસાર બનાસ નદીમાં ન્હાવા ગયેલા ૧૧ યુવાનો અચાનક જોરદાર પ્રવાહમાં તણાયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ યુવાનોના મૃત્યું થયાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ટોંક જિલ્લામાં બનાસ નદીમાં ૧૧ યુવાનો નહાવા પડ્યા હતા, પરંતુ અચાનક નદીના જોરદાર પ્રવાહને કારણે તણાયા હતા. આ ઘટના અંગેની જાણ ગ્રામજનોએ પોલીસને કરી હતી. માહિતી મળતાં જ ટોંક પોલીસ, વહીવટીતંત્ર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં ૮ યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે, જોકે, હજુ ત્રણ યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુ:ખદ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ હિસ્સો ઉંડો હોવા છતાં કોઇ ચેતવણી બોર્ડ નહીં
જાણકારી અનુસાર યુવકો અહીં પિકનિક મનાવવા માટે આવ્યા હતા. જ્યાં એક બાદ એક ડૂબવા લાગ્યા, પછી સ્થાનિકોએ પોલીસને જાણ કરી. સ્થાનિકોનું કહેવું છે કે નદીનો આ હિસ્સો ખૂબ જ ઊંડો છે, તેમ છતાં ચેતવણી માટે કોઈ બોર્ડ લગાવવામાં આવી નથી. જેના કારણે ઘણીવાર લોકો જાણકાર વિના નહાવા માટે કૂદી પડતાં હોય છે. તમામ મૃતકો જયપુરના હોવાના પ્રાથમિક અહેવાલ છે. પરિજનોની રોકકળના કારણે હોસ્પિટલમાં ગમગીન માહોલ સર્જાયો હતો. SP વિકાસ સાંગવાને લોકોને જાણકારી વિના પાણીમાં ન ઉતરવા અપીલ કરી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ‘X‘ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ટોંક જિલ્લામાં બનાસ નદીમાં ડૂબવાથી યુવાનોના મૃત્યુના સમાચાર ખૂબ જ દુ:ખદ છે. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને શાંતિ આપે અને મૃતકોના પરિવારોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે.