પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની અંદર વિખવાટ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભાજપ માટે ‘મોટું રાજકીય ઈનામ’ જીતવાની સુવર્ણ તક

પેટર્ન હવે બંગાળમાં પુનરાવર્તિત થવાની સંભાવના

(સંપૂર્ણ સમાચાર સેવા)

કેટલાક સમયથી પશ્વિમ બંગાળના રાજકારણમાં મોટા ફેરફાર થયા તે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય જોવા મળ્યા છે. ત્યારે તેની સીધી અસર હવે દિલ્હીની સંસદ સુધી પહોંચી શકે એમ છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની અંદર આંતરિક વિખવાદ અને વિભાજનના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પક્ષના પ્રમુખ મમતા બેનર્જી માટે આ એક મોટો આંચકો હોઈ શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે આ એક ‘મોટું રાજકીય ઈનામ’ જીતવાની સુવર્ણ તક છે.

પશ્ચિમ બંગાળની વિધાનસભામાં ભાજપ પહેલેથી જ ૨/૩ બહુમતી સાથે સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે, તેથી રાજ્ય સ્તરે તેને કોઈના સમર્થનની જરૂર નથી. ભાજપની અસલી નજર સંસદ (લોકસભા અને રાજ્યસભા) માં પોતાની તાકાત વધારવા પર છે, જેથી અટકેલા મહત્ત્વના બંધારણીય સુધારાઓ સરળતાથી પાસ કરાવી શકાય.

આંતરિક ઝઘડાના કારણે TMC માં વિભાજન થવાની સંભાવના

બંગાળના રાજકારણમાં મમતા બેનર્જી માટે મુશ્કેલીઓ ત્યારે વધી જ્યારે પૂર્વ CPI(M) નેતા ઋતબ્રત બેનર્જી જેઓ ૨૦૧૮માં TMC માં જોડાયા હતા અને તાજેતરમાં ‘પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ’ માટે હાંકી કઢાયા હતા ને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવામાં આવી.

મમતા બેનર્જીએ આ પદ માટે પોતાના વરિષ્ઠ નેતા સોવનદેવ ચટ્ટોપાધ્યાયને ટેકો આપ્યો હતો. આમ છતાં ઋતબ્રત બેનર્જીએ TMC ના ૮૦ ધારાસભ્યોમાંથી ૫૮ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને બધાને ચોંકાવી દીધા છે. અસંતુષ્ટ જૂથના મતે આ સંખ્યા ૬૦ સુધી પહોંચી શકે છે. ભાજપના નેતાઓનું માનવું છે કે આ આંતરિક ઝઘડાના કારણે ટૂંક સમયમાં જ TMC માં વિભાજન થશે.

જો બંગાળમાં TMC ના ધારાસભ્યો વિભાજિત થશે તો તેની સીધી અસર સંસદમાં જોવા મળશે. સંસદમાં રહેલા TMC ના સાંસદો પણ અલગ બ્લોક (જૂથ) બનાવી શકે છે. ભાજપના આંકડાકીય ગણિત મુજબ અમુક શક્યતાઓ જોઇએ.

–       જો સંસદમાં ૧૫, ૨૦ કે ૨૫ સાંસદો ધરાવતું કોઈ અલગ TMC જૂથ બને, તો તે NDAસરકારને બહારથી કે સીધું સમર્થન આપી શકે છે.

–       આ સમર્થનથી ભાજપને પોતાના મહત્ત્વકાંક્ષી કાયદાઓ પસાર કરવા માટે જરૂરી બહુમતી મળી જશે.

–       ભાજપ આ ઘટનાક્રમને મહારાષ્ટ્રમાં શિવસેના અને NCP માં થયેલા વિભાજન તેમજ તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં થયેલા વિભાજન સાથે સરખાવી રહ્યું છે. આપમાં રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં ૧૦માંથી ૭ રાજ્યસભા સાંસદો ભાજપ સાથે જોડાતા ૨૪૫ સભ્યોના ઉપલા ગૃહમાં NDA ની સંખ્યા ૧૪૧ થઈ ગઈ હતી. આ જ પેટર્ન હવે બંગાળમાં પુનરાવર્તિત થવાની સંભાવના છે.

વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર સ્પષ્ટ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું, જેના કારણે બંધારણીય સુધારા માટે જરૂરી ૨/૩ બહુમતીનો આંકડો ઘણો દૂર થઈ ગયો છે. એપ્રિલ, ૨૦૨૬માં સરકારને મોટો ફટકો પડ્યો જ્યારે સીમાંકન બિલ  લોકસભામાં ૨/૩ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નહીં. આ બિલનો હેતુ દેશની ચૂંટણી સીમાઓ ફરીથી નક્કી કરવાનો અને લોકસભાની બેઠકોની સંખ્યા ૫૪૫ થી વધારીને ૮૫૦ કરવાનો છે.

આ સિવાય સરકાર વન નેશન, વન ઇલેક્શન (એક રાષ્ટ્ર, એક ચૂંટણી) બિલ પણ લાવવા માંગે છે, જે લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ એકસાથે કરાવવાનો પ્રસ્તાવ રાખે છે. હાલમાં આ બિલ પી.પી.ચૌધરીની અધ્યક્ષતાવાળી ૩૯ સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિ હેઠળ તપાસ હેઠળ છે. સરકાર ઇચ્છે છે કે વર્ષ ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલાં આ બંને કાયદા અમલમાં આવી જાય.

જ્યારે એપ્રિલમાં સીમાંકન બિલ રજૂ કરાયું ત્યારે NDA પાસે ૨૯૮ સભ્યોનું સમર્થન હતું, પણ કોંગ્રેસ, DMK અને TMC સહિતના ઇન્ડિયા ગઠબંધનના ૨૩૦ સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધપક્ષોનો દાવો હતો કે સીમાંકનને મહિલા અનામત સાથે જોડવામાં ન આવે અને તેનાથી દક્ષિણના રાજ્યોનું રાજકીય મહત્ત્વ ઘટી જશે. પરંતુ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ રાજકીય સમીકરણો બદલાયા છે.

–       તમિલનાડુમાં પોતાની હાર અને સાથી પક્ષ કોંગ્રેસના સી. જોસેફ વિજયની આગેવાની હેઠળની TVK સરકારમાં જોડાવાના ર્નિણયથી DMK પક્ષ હચમચી ગયો છે.

–       સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે DMK તરફ સહકારનો હાથ લંબાવ્યો છે અને DMKપણ કેન્દ્ર સરકારને મુદ્દા આધારિત સમર્થન આપવા તૈયાર દેખાઈ રહ્યું છે.

–       કેન્દ્રીય ગૃહ મંત્રાલય હવે સીમાંકન બિલનો એવો સુધારેલો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે, જેમાં DMK જેવા પ્રાદેશિક પક્ષોની ચિંતાઓ દૂર કરી શકાય.

વર્તમાન લોકસભામાં DMK પાસે ૨૨ સાંસદો અને TMC પાસે ૨૮ સાંસદો છે. જો DMK બિલને સમર્થન આપવા સંમત થાય, તો ૫૪૩ સભ્યોના ગૃહમાં ૨/૩ બહુમતી માટે NDA  ને વધારાના માત્ર ૪૨ મતોની જરૂર પડશે. આવી સ્થિતિમાં, જો બંગાળમાં TMC તૂટે છે અને તેમાંથી ૧૫ થી ૨૦ સાંસદોનું અલગ જૂથ ભાજપને ટેકો આપે છે, તો NDA ખૂબ જ સરળતાથી ‘સીમાંકન’ અને ‘વન નેશન, વન ઇલેક્શન’ જેવા ઐતિહાસિક બિલો પસાર કરાવી શકશે. આમ, બંગાળનું આંતરિક રાજકીય સંકટ આડકતરી રીતે કેન્દ્રની મોદી સરકારને વધુ શક્તિશાળી બનાવવાનો માર્ગ મોકળો કરી રહ્યું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.