Last Updated on by Sampurna Samachar
અમે પોતાની માતૃભાષાને ક્યારેય ભૂલી નહીં શકીએ
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાષા આંદોલનની શરુઆત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાષા આંદોલનની શરુઆત કરી દીધી છે. તેમણે રાજ્યના બોલપુરથી આ આંદોલનની શરુઆત કરી અને કહ્યું કે, અમે પોતાની માતૃભાષાને ક્યારેય ભૂલી નહીં શકીએ. CM મમતા બેનર્જીએ અન્ય રાજ્યોમાં બંગાળી પ્રવાસીઓ પર કથિત હુમલાઓ વિરુદ્ધ બોલપુરમાં વિરોધ માર્ચ શરુ કરી છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, અમે ભાષાના આધાર પર વિરોધ નથી ઇચ્છતા, પરંતુ બાંગ્લાના નામ પર ઉત્પીડન ન કરી શકાય. આપ સૌ કંઈક ભૂલી શકો છો, પરંતુ તમારે પોતાની અસ્મિતા, માતૃભાષા, માતૃભૂમિ ન ભૂલવી જોઈએ.
પાર્ટીએ લોજ મોડથી રેલી યોજી
રાજ્યમાં આગામી વર્ષે જ રાજ્ય વિધાનસભા ચૂંટણી થવાની છે અને તે પહેલા બાંગ્લા ભાષાને લઈને વિવાદ વધી રહ્યો છે. ખાસ કરીને NCR ના ગુરુગ્રામ શહેરમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ચાલી રહેલા એક્શનને લઈને વિવાદ વકરી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસનો દાવો છે કે બંગાળી ભાષીઓને વિશેષ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં બાંગ્લાદેશી ગણવામાં આવી રહ્યા છે અને તેમને જબરદસ્તી બોર્ડર પાર બાંગ્લાદેશમાં પરત મોકલવામાં આવી રહ્યા છે.
બેનર્જીએ ૨૧ જુલાઈએ શહીદ દિવસ રેલી દરમિયાન ૨૮ જુલાઈએ રાજ્યવ્યાપી ભાષા આંદોલન શરુ કરવાની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, આંદોલન બોલપુર સ્થિત શાંતિનિકેતનથી શરુ થશે અને આ બંગાળી ભાષા અને લોકોની ગરિમાને જાળવી રાખવા માટે સમર્પિત એક આંદોલન હશે. પાર્ટીએ લોજ મોડથી એક રેલીની શરુઆત કરી હતી. આ રેલી શાંતિનિકેતન રોડ થઈને ચૌરાસ્તા, શ્રીનિકેતન રોડ થઈને જમુર્ડી બસ સ્ટેન્ડ પર પૂર્ણ થશે, જ્યાં મુખ્યમંત્રી જનસભાને સંબોધિત કરશે. આખા રસ્તે સાંસ્કૃતિક સમૂહ બંગાળી ભાષા અને સંસ્કૃતિ પર કથિત હુમલાના વિરોધમાં અલગ અલગ ચોક પર ગીત અને કવિતા પાઠ રજૂ કરશે.