Last Updated on by Sampurna Samachar
અનેક મુસાફરો માટે મુખ્યમંત્રી સાથે ટ્રેન મુસાફરી વિશેષ રહી
રાજકીય વર્તુળોમાં CM ના નિર્ણયની ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાદગીપૂર્ણ જીવન જીવવા અને સામાન્ય લોકો સાથે જોડાયેલા રહેવાના કારણે ચર્ચામાં રહ્યા છે. ત્યારે ફરી એકવાર મુખ્યમંત્રીની સાદગીભરી જીવનશૈલીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પેટ્રોલ અને ડીઝલ બચત અંગે વડાપ્રધાને કરેલી અપીલ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્તિગત કાર્યક્રમમાં હાજરી આપવા માટે વંદે ભારત ટ્રેન મારફતે ગાંધીનગરથી સુરતની મુસાફરી કરી હતી.

સામાન્ય રીતે મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન મોટો સરકારી કાફલો અને સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે મુખ્યમંત્રીએ સામાન્ય મુસાફરોની વચ્ચે રહી ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું છે. આ ર્નિણયને માત્ર એક પ્રવાસ તરીકે નહીં પરંતુ ઇંધણ બચત અને જાહેર પરિવહન પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
વંદે ભારત અને તેજસ જેવી આધુનિક ટ્રેનો લોકોમાં લોકપ્રિય
તાજેતરમાં દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં સંયમ રાખવા વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને વૈશ્વિક પરિસ્થિતિ અને ઇંધણના વધતા ખર્ચ વચ્ચે જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટ્રેન મુસાફરીને પ્રતીકાત્મક અને સંદેશાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી સુરતમાં વ્યક્તિગત કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે સીએમની મુસાફરી દરમિયાન સામાન્ય મુસાફરોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી. અનેક મુસાફરો માટે મુખ્યમંત્રી સાથે એક જ ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ વિશેષ બની રહ્યો હતો.
રાજકીય વર્તુળોમાં પણ મુખ્યમંત્રીના આ ર્નિણયને લઈને ચર્ચા ચાલી રહી છે. એક તરફ સરકાર સતત ઇંધણ બચત અને પર્યાવરણ જાળવણી અંગે સંદેશ આપી રહી છે ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા ટ્રેનમાં મુસાફરી કરીને એ સંદેશને વ્યવહારિક રૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
ટ્રેન મુસાફરીને વધુ સુરક્ષિત, ઝડપી અને પર્યાવરણમિત્ર પરિવહન તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વંદે ભારત અને તેજસ જેવી આધુનિક ટ્રેનો લોકોમાં લોકપ્રિય બની રહી છે. આવી સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ટ્રેન મુસાફરી પસંદ કરવાથી સામાન્ય નાગરિકોમાં પણ જાહેર પરિવહન પ્રત્યે સકારાત્મક સંદેશ જવાનો માનવામાં આવે છે.
હવે મુખ્યમંત્રીની આ પહેલ બાદ અન્ય રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ પણ જાહેર પરિવહન તરફ વળે છે કે નહીં તેના પર નજર રહેશે.