Last Updated on by Sampurna Samachar
સરકાર સમક્ષ ન્યાય અને સુરક્ષાની માંગ
વડોદરાના સાવલીના ખોખર ગામની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખોખર ગામ ખાતે હનુમાનજી મંદિર અને ગૌશાળામાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ સામે આવ્યો હતો. ઘટનાને લઈને મહંત દયાનંદજી સરસ્વતીએ પોતાની સુરક્ષા અંગે ભય વ્યક્ત કરી સરકાર સમક્ષ ન્યાય અને સુરક્ષાની માંગ કરી છે.

મહંત શિવાનંદજી સરસ્વતીના શિષ્ય મહંત દયાનંદજી સરસ્વતી દ્વારા સેવાભાવી લોકોના સહયોગથી આશ્રમમાં ગૌશાળાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મહંતનો આક્ષેપ છે કે થોડા સમય પહેલાં ગામના સરપંચ, ઉપસરપંચ અને તલાટીને પણ ગૌશાળા સંબંધિત મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
ન્યાય નહીં મળે તો રેલી, ઉપવાસ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન
દરમિયાન અજાણ્યા તત્વોએ ગૌશાળામાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. મહંત દયાનંદજી સરસ્વતીએ જણાવ્યું હતું કે ઘટનાને પગલે હવે તેમને પોતાના જીવન અંગે ભય સતાવી રહ્યો છે અને ભવિષ્યમાં પોતાની હત્યા થવાની પણ આશંકા છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે ધાર્મિક સ્થળો અને ગૌશાળાઓને નુકસાન પહોંચાડનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી યોગ્ય ન્યાય અપાય તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા અસરકારક પગલાં લેવાય.
મહંતે ચીમકી ઉચ્ચારી હતી કે જો ન્યાય નહીં મળે તો ગુજરાત સહિત વિવિધ મંડળોના સાધુ-સંતો, મહંતો અને સનાતન ધર્મના આગેવાનોને સાથે રાખી રેલી, ઉપવાસ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.