Last Updated on by Sampurna Samachar
બેંકના જ કસ્ટોડિયન હરસિદ્ધ કડિયારે ગુનાને અંજામ આપ્યો
કૌભાંડમાં બેંકના અન્ય કર્મચારીઓની સંડોવણી વિશે તપાસ શરૂ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ગાંધી રોડ સ્થિત બેંક ઓફ બરોડામાં આવેલી RBI ની કરન્સી ચેસ્ટમાંથી રૂપિયા ૮.૭૦ કરોડની ચોરીના કેસમાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે. જેમાં રાતોરાત અમીર બનીને વિલાસી જીવન જીવવાની લાલચમાં બેંકના જ કસ્ટોડિયન હરસિદ્ધ કડિયારે આ ગુનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તાજેતરમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં બેંકનો કસ્ટોડિયન ભંગારના ખોખાની આડમાં કરોડો રૂપિયાની રકમ બેંકની બહાર લઈ જતો સ્પષ્ટપણે જોવા મળે છે.

પોલીસ તપાસમાં મુજબ, ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ ની રાત્રે આરોપીએ સુલતાન અને ઝુલ્ફીકાર નામના બે સાગરીતોની મદદથી આરોપીએ કાવતરું પાર પાડ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જાેવા મળે છે કે, આરોપીએ સિક્યુરિટી સ્ટાફને ભંગાર વેચવાનો છે તેવું બહાનું આપીને ગેરમાર્ગે દોર્યા હતા અને ચલણી નોટોથી ભરેલા ખોખા બેંકની બહાર કાઢ્યા હતા. આ ફૂટેજના આધારે પોલીસે કસ્ટોડિયનને મદદ કરનાર બંને સાથીઓની પણ અટકાયત કરી લીધી છે અને તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે.
સહકર્મી વૈશાલીને મકાન માટે ૨૩ લાખ રૂપિયા આપ્યા
RBI ના રૂ.૮.૭૦ કરોડની માતબર ચોરીમાંથી પોલીસે મુખ્ય આરોપી પાસેથી રૂ.૨.૨૦ કરોડ અને અન્ય બે આરોપીઓ પાસેથી આશરે ૪૦ થી ૫૦ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. હરસિદ્ધે ચોરીની રકમમાંથી ૨ કરોડનો બંગલો, રૂ.૧.૪૦ કરોડની દુકાન અને ૧૫ લાખનો છોટા હાથી ટેમ્પો ખરીદ્યો હતો.
આટલું જ નહીં, તેણે પોતાની સહકર્મી વૈશાલીને મકાન માટે ૨૩ લાખ રૂપિયા આપ્યા હતા અને ૧ કરોડથી વધુનું રોકાણ ક્રિપ્ટો કરન્સીમાં પણ કર્યું હતું. આ કૌભાંડમાં બેંકના અન્ય કોઈ કર્મચારીઓની સંડોવણી છે કે કેમ, તે જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.