Last Updated on by Sampurna Samachar
વક્ફના ટ્રસ્ટી તરીકે બતાવી ૧૭ વર્ષથી ઘર અને દુકાનનું ભાડું વસુલ કર્યું
કૌભાંડમાં ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ૧૦૦ કરોડની વક્ફ સંપત્તિઓના કૌભાંડમાં ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ૧૭ વર્ષથી વક્ફની જમીન પર બનેલા ઘર અને દુકાનનું ભાડું વસૂલ કરતા હતા. આ લોકો પોતાને વક્ફના ટ્રસ્ટી તરીકે ઓળખાવતા હતા. પકડાયેલા લોકોમાં એક હિસ્ટ્રીશીટર પણ સામેલ છે.
પોલીસે જણાવ્યું કે ટ્રસ્ટી બનીને કથિત રીતે ૧૭ વર્ષ સુધી રાજ્ય વક્ફ બોર્ડ હેઠળ રજિસ્ટર્ડ અમદાવાદ સ્થિત બે ટ્રસ્ટોની જમીન પર બનેલી ઈમારતોનું ભાડું વસૂલ કરવાના આરોપ હેઠળ ૫ લોકોની ધરપકડ કરાઈ છે. શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ આરોપીઓએ કાંચની મસ્જિદ ટ્રસ્ટ અને શાહ બડા કસમ ટ્રસ્ટની જમીન પર બનેલા લગભગ ૧૦૦ ઘરો અને દુકાનોનું ભાડું વસૂલ્યું.
૧૦૦ કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે વસૂલ્યા
DCP ભરત રાઠોડે કહ્યું કે તેમના વિરુદ્ધ ફ્રોડ અને નકલી દસ્તાવેજો બદલ ફરિયાદ નોંધાઈ છે. તપાસમાં જાણવા મળ્યું કે તેમણે વક્ફ બોર્ડ હેઠળ રજિસ્ટર્ડ ટ્ર્સ્ટોની સંપત્તિઓનો ખાનગી લાભ માટે દુરઉપયોગ કર્યો છે. વક્ફ સંપત્તિ ધાર્મિક કે ધર્માર્થ હેતુઓ માટે સમર્પિત હોય છે. આવી સંપત્તિઓમાંથી મળેલી આવકનો ઉપયોગ સામાન્ય રીતે ધાર્મિક ગતિવિધિઓ, ધર્માદા માટે કે જાહેર લાભ માટે કરાય છે.
તેમણે કહ્યું કે આરોપીઓએ બંને ટ્રસ્ટોના ૫૦૦૦ વર્ગ મીટરથી વધુ વિસ્તારમાં ગેરકાયદે નિર્માણ કર્યું. તેમણે ૨૦૦૮ થી ૨૦૨૫ વચ્ચે લગભગ ૧૦૦ સંપત્તિઓ બનાવ્યા અને દર મહિને ભાડુ વસૂલ્યું. આ પાંચની ઓળખ સલીમ ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમૂદખાન પઠાણ, ફૈઝ મોહમ્મદ ચોબદાર અને શાહિદ અહેમદ શેખ તરીકે થઈ છે. તેમણે કહ્યું કે સલીમ ખાન પઠાણ એક હિસ્ટ્રીશીટર છે અને તેના પર ૫ કેસ નોંધાયેલા છે.
કાંચીની મસ્જિદ ટ્રસ્ટની જમીન પર બનેલી સંપત્તિઓના ભાડુઆત મોહમ્દમ રફિક અન્સારીએ કહ્યું કે કોઈ પણ આરોપી કોઈ પણ ટ્રસ્ટનો સભ્ય નથી. તેમણે કહ્યું કે ભાડાના પૈસાનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવા ઉપરાંત આરોપીઓએ શાહ બડા કાશી ટ્રસ્ટના દાનપાત્રમાં જમા પૈસા ઉપર પણ પોતાનો હક જતાવ્યો. આરોપીઓએ કાંચની મસ્જિદ ટ્રસ્ટની જમીન પર ૧૫ દુકાનો પણ બનાવડાવી. તેમણે જણાવ્યું કે આ જમીન પહેલા એએમસીને ઉર્દૂ શાળા માટે અપાઈ હતી.
૨૦૦૧માં આવેલા ભૂકંપ દરમિયાન શાળાનું બાંધકામ જર્જરીત થઈ ગયું હતું. એએમસીએ ૨૦૦૯માં શાળાને ધ્વસ્ત કરી દીધી અને તેને નજીકના વિસ્તારમાં ખસેડી. આ બધા વચ્ચે ફેક ટ્રસ્ટીઓએ દસ દુકાનો બનાવી જેમાંથી એકનો ઉપયોગ આરોપી સલીમ ખાને પોતાના કાર્યલાય ખોલવા માટે કર્યો. ફરિયાદકર્તાએ કહ્યું કે અન્ય ભાડે આપી દેવાઈ હતી.
ફરિયાદમાં એમ પણ કહેવાયું કે આરોપીઓ દ્વારા વસૂલવામાં આવેલું ભાડુ ન તો ટ્રસ્ટના ખાતામાં જમા કરાયું કે ન તો એએમસીને અપાયું. આ રીતે તેમણે એએમસી અને વક્ફ બોર્ડ સાથે ફ્રોડ આચર્યું. મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો છે કે ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી બનીને ટ્રસ્ટની જમીન પર રહેલા લગભગ ૨૫થી ૩૦ દુકાનોથી ભાડુ વસૂલી રહ્યા હતા. આ લોકો ૧૫ રહેણાંક સંપત્તિઓ, લગભગ ૨૦૦ ઘરોથી ભાડુ વસૂલતા હતા. એવો પણ દાવો છે કે આ લોકો લગભગ ૧૦૦ કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે વસૂલ્યા છે.