Last Updated on by Sampurna Samachar
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો
‘હું પાછો આવીશ ત્યારે હું પોતે બોલીશ’ રાજ ઠાકરેએ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે (THAKREY) વિદેશ પ્રવાસે ગયા બાદ હવે સૂચના મળી છે કે, ઉદ્ધવ ઠાકરે પણ યુરોપ જવા રવાના થયા છે. આ બંને નેતાઓ વિદેશમાં સંભવિત મુલાકાત કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
રાજ ઠાકરેએ પોતાના પક્ષના નેતાઓ અને કાર્યકરોને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ ૨૯ એપ્રિલ સુધી કોઈપણ સંવેદનશીલ મુદ્દા પર નિવેદન ન આપે. તેમણે કહ્યું છે કે, “હું પાછો આવીશ ત્યારે હું પોતે બોલીશ.” આના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાજ ઠાકરે કોઈ મોટી રણનીતિની તૈયારી કરી રહ્યા છે.
પુન:મિલન વિપક્ષ માટે એક નવો પડકાર
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌથી રસપ્રદ વાત એ છે કે રાજ અને ઉદ્ધવ ઠાકરે ફરીથી સાથે આવવાની અટકળો વેગવાન બની છે. તાજેતરમાં, બંને પક્ષો તરફથી ઘણા સકારાત્મક નિવેદનો આવ્યા છે, જોકે રાજ ઠાકરેએ હજુ સુધી આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.
દાદરમાં શિવસેના ભવન પાસે એક ખાસ પોસ્ટર જોવા મળ્યું છે. આ પોસ્ટરમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે એકબીજાને ભેટતા દર્શાવવામાં આવ્યા છે અને તેના પર લખ્યું છે, ‘બટેંગે તો કટેંગે, છોડકર ઠાકરે બંધુ સાથ આયે.‘ (અલગ થઈશું તો ભાગલા પડશે, બધુ ભૂલી ઠાકરે ભાઈઓ એકજૂટ થાય). આ સંદેશ રાજકારણમાં હલચલ મચાવી રહ્યો છે અને કાર્યકરોમાં આશાનું કિરણ બન્યો છે. વિપક્ષમાં પણ ખળભળાટ વધ્યો છે.
બીજી તરફ, તે જ સ્થળે MNS એ બીજું એક વિવાદાસ્પદ પોસ્ટર લગાવ્યું છે, જેમાં લખ્યું છે કે, ‘ હિન્દી ભાજપ માટે ભક્તિ નથી, તે મજબૂરી છે.‘ જો અડધો દેશ મહારાષ્ટ્રમાં પોતાનું ગુજરાન ચલાવવા આવી રહ્યો છે, તો મહારાષ્ટ્રે હિન્દી નહીં, પણ મરાઠી શીખવાની જરૂર છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે MNS હજુ પણ તેની મરાઠી ઓળખની રાજનીતિ પર અડગ છે.
જો રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આ સંભવિત મુલાકાત થાય છે, તો તે મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. દાયકાઓથી અલગ રહેલા ઠાકરે બંધુઓનું પુન:મિલન વિપક્ષ માટે એક નવો પડકાર પણ બની શકે છે.