Last Updated on by Sampurna Samachar
અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવો એક્શન પ્લાન અમલમાં
જૂના બે કટ બંધ કરી નવા વૈકલ્પિક માર્ગો શરૂ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના પૂર્વ વિસ્તારના નાના ચિલોડા સર્કલ પર વર્ષોથી ચાલતી ટ્રાફિકની જટિલ સમસ્યાનો અંત આવ્યો છે. જે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક નવો એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. દરરોજ લાખો વાહનોની અવરજવરથી ધમધમતા આ સર્કલ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે પોલીસ દ્વારા જૂના બે કટ બંધ કરી નવા વૈકલ્પિક માર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, નાના ચિલોડા સર્કલ એ શહેરનું પ્રવેશદ્વાર હોવાથી અહીં વાહનોનું ભારણ અત્યંત વધારે રહે છે. પોલીસના સર્વે મુજબ આ સર્કલ પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે. આ જંગી દબાણને કારણે સર્જાતા કલાકોના ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવવા માટે પોલીસ મહત્ત્વનું પગલુ ભર્યું છે.
કયા ફેરફારો કરવામાં આવ્યા?
- ટ્રાફિક પોલીસે નિષ્ણાતોના અભિપ્રાય બાદ સર્કલની ડિઝાઇનમાં મહત્વના ફેરફારો કર્યા છે.
- સર્કલ પાસે સીધા અવરોધ ઉભા કરતા બે મુખ્ય કટને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.
- વાહનોની સરળતા માટે નરોડા GIDC તરફ જવાના માર્ગ પર અંદાજે ૨૦૦ મીટર આગળ નવો કટ આપવામાં આવ્યો છે.
- નાના ચિલોડાથી રિંગ રોડ તરફ આવતા વાહનચાલકો માટે બ્રિજ નીચે ડાબી બાજુએ એક વધારાનો કટ શરૂ કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરે જાતે કર્યું નિરીક્ષણ
આ નવી વ્યવસ્થા કેટલી કારગત નીવડી રહી છે તેની સમીક્ષા કરવા માટે ખુદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નાના ચિલોડા સર્કલની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પર હાજર રહીને ટ્રાફિકના ફ્લોનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.
નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ સર્કલ પર વાહનોની ગતિમાં સુધારો જાેવા મળ્યો છે. અગાઉ જ્યાં પીક અવર્સમાં ૨૦થી ૩૦ મિનિટનો સમય વેડફાતો હતો, ત્યાં હવે વાહનો સરળતાથી પસાર થઈ રહ્યા છે. સ્થાનિક રહીશો અને દરરોજ અવરજવર કરતા વાહનચાલકોએ ટ્રાફિક વિભાગના આ ર્નિણયને આવકાર્યો છે.