Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરનો ચોંકાવનારો દાવો
પશ્વિમ બંગાળમાં મમત બેનર્જીની હારનુ કંઇક આવુ ગણિત સમજાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામોએ દેશભરમાં ચર્ચા જગાવી છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે એક ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. થરૂરના જણાવ્યા અનુસાર, બંગાળમાં જે રીતે મોટા પાયે મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવામાં આવ્યા, તેનાથી ચૂંટણી પરિણામો પ્રભાવિત થયા હોઈ શકે છે.

શશિ થરૂરે જણાવ્યું હતું કે, બંગાળમાં SIR પ્રક્રિયા હેઠળ લગભગ ૯૧ લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. જે પૈકી ૩૪ લાખ લોકોએ સત્તાવાર રીતે અપીલ દાખલ કરી હતી કે, તેઓ જીવિત છે અને સાચા મતદારો છે. નિયમ મુજબ દરેક કેસની અલગ તપાસ થવી જોઈએ, પરંતુ મતદાન પહેલા માત્ર ગણતરીના કેસોનો જ નિકાલ થઈ શક્યો. લગભગ ૩૧-૩૨ લાખ લોકો એવા છે જેમની સુનાવણી પેન્ડિંગ છે. આ લોકો કદાચ ભવિષ્યમાં સાચા મતદારો સાબિત થશે, પણ તેઓ ૨૦૨૬ની ઐતિહાસિક ચૂંટણીમાં વોટ આપવાની તક ગુમાવી ચૂક્યા છે.
કેરળમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા ૬૩ બેઠકો જીતી
શશિ થરૂરે ભાજપની જીત અને બાકી રહેલી અપીલો વચ્ચે સીધો સંબંધ જોડતા સવાલ ઉઠાવ્યો હતો. બંગાળમાં ભાજપની જીતનું અંતર લગભગ ૩૦ લાખ મતો છે, અને જે મતદારોની અપીલ વણઉકેલાયેલી રહી છે તેમની સંખ્યા પણ ૩૪ લાખ છે. શું આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને લોકશાહી કહી શકાય? તેવો શશિ થરૂરે સવાલ ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે ૨૦૨૬ની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપે ૨૦૭ બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવીને મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનનો અંત આણ્યો છે, જ્યારે TMC ને માત્ર ૮૦ બેઠકો મળી છે.
થરૂરે પશ્ચિમ બંગાળની સરખામણી કેરળ સાથે પણ કરી હતી. તેમણે દાવો કર્યો કે કેરળમાં ડુપ્લિકેટ મતદારોના નામ હટાવવાથી કોંગ્રેસને ફાયદો થયો છે. થરૂરે આક્ષેપ કર્યો કે, કેરળમાં સત્તાધારી પક્ષ લાંબા સમયથી એક જ વ્યક્તિના નામ ચાર અલગ-અલગ બૂથ પર નોંધણી કરાવવાની પ્રક્રિયામાં માહેર હતો. આ વખતે કેરળમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા ૬૩ બેઠકો જીતી છે, જ્યારે ભાજપને ૩ બેઠકો મળી છે. કેરળ અને તમિલનાડુમાં મતદાર યાદીમાંથી નામ હટાવવા સામે બહુ ઓછી અપીલો આવી હતી, જે બંગાળ કરતા સાવ વિપરીત સ્થિતિ દર્શાવે છે.
શશિ થરૂરના મતે કેરળમાં UDF ની જીત માત્ર રાજ્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે રાષ્ટ્રીય સ્તરે INDIA Bloc ની રણનીતિ અને ભવિષ્યની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. જોકે, બંગાળમાં જે રીતે મતદારોના નામની અનિશ્ચિતતા વચ્ચે સત્તા પરિવર્તન થયું છે, તે આવનારા દિવસોમાં મોટો કાયદાકીય અને રાજકીય વિવાદ બની શકે છે.