Last Updated on by Sampurna Samachar
ધારાસભ્ય રાધાકૃષ્ણને ટીવીકેના ધારાસભ્યનો ખુલ્લો પડકાર
૬ મહિનામાં સરકાર પડી જશે, સ્ટાલિન ફરી સીએમ બનશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ રાજ્યના મુખ્ય વિપક્ષી પક્ષ દ્રવિડ મુન્નેત્ર કઝગમમાં ભારે મંથન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન ડીએમકેના એક ધારાસભ્યએ વર્તમાન સરકાર આગામી ૬ મહિનામાં પડી જવાનો દાવો કરતાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં ફરી એકવાર રાજકીય ગરમાવો આવી ગયો છે. તમિલનાડુમાં હાલમાં જ અભિનેતામાંથી નેતા બનેલા જાેસેફ વિજયની પાર્ટી ટીવીકેની આગેવાની હેઠળની ગઠબંધન સરકારે સત્તા સંભાળી છે.

તમિલનાડુના તિરુચેન્દુર બેઠકના ડીએમકે ધારાસભ્ય અનીતા રાધાકૃષ્ણને રવિવારે એક જાહેર કાર્યક્રમમાં રાજ્ય સરકારને લઈને બહુ મોટો દાવો કર્યો છે. ડીએમકે ધારાસભ્યએ દાવો કર્યો છે કે, “ટીવીકેની આગેવાની હેઠળની વર્તમાન ગઠબંધન સરકાર આગામી ૪થી ૬ મહિનામાં પડી જશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ સરકાર પડ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર ડીએમકેના નેતા એમ. કે. સ્ટાલિન સત્તા પર વાપસી કરશે અને આગામી મુખ્યમંત્રી બનશે.
૩૬ સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરી
આ દરમિયાન ડીએમકે ધારાસભ્ય રાધાકૃષ્ણને ટીવીકેના ધારાસભ્ય આધવ અર્જુનને ફરીથી ચૂંટણી લડવા માટેનો ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો. જોકે, ડીએમકેના આ દાવાઓ પર અત્યાર સુધી ટીવીકે સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
બીજી તરફ, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં અણધારી અને કારમી હાર મળ્યા બાદ ડીએમકેના વડા એમ. કે. સ્ટાલિને પક્ષના આત્મનિરીક્ષણ માટે ૩૬ સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિ ચૂંટણીમાં મળેલી હારના કારણોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરશે. રાજ્યમાં સત્તા વિરોધી લહેર ન હોવા છતાં પક્ષને મળેલી આ અણધારી હારથી પૂર્વ મુખ્યપ્રમુખ સ્ટાલિન પોતે આશ્ચર્યચકિત છે.
નોંધનીય છે કે, સ્ટાલિન પોતે પણ પોતાની પરંપરાગત બેઠક કોલાથુર પરથી ચૂંટણી હારી ગયા છે. સમિતિના સભ્યોને સંબોધિત કરતી વખતે એમ. કે. સ્ટાલિને સ્પષ્ટ સૂચનાઓ આપી છે અને આ સમીક્ષાને માત્ર એક ઔપચારિકતા ન ગણવામાં આવે. “આ સમીક્ષા પ્રક્રિયા એક મેડિકલ ડાયગ્નોસિસ જેવી છે. જે રીતે એક ડૉક્ટરને દર્દીનો યોગ્ય ઇલાજ કરવા માટે તેની બીમારી વિશે સાચી અને પ્રમાણિક માહિતીની જરૂર હોય છે, તેવી જ રીતે પક્ષને ફરી બેઠો કરવા માટે મને જમીની હકીકતનો સાચો અહેવાલ જોઈએ. તમારું કર્તવ્ય પક્ષમાં કોઈને બચાવવાનું કે કોઈને નિશાન બનાવવાનું નથી, પરંતુ પક્ષપાત વિના સાચું કારણ શોધવાનું છે.
આ પેનલ તમિલનાડુના તમામ ૨૩૪ વિધાનસભા મતવિસ્તારોમાં જશે અને વ્યાપક રીતે તળગત અભ્યાસ કરશે. પક્ષના સ્થાનિક હોદ્દેદારો અને સામાન્ય કાર્યકરોને રૂબરૂ મળીને તેમની પાસેથી સીધો જ ફીડબેક મેળવશે. આ ૩૬ સભ્યોની સમિતિએ પોતાનો નિષ્પક્ષ અને સ્પષ્ટ અંતિમ અહેવાલ સોંપવા માટે ૫ જૂન સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે.