સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય

કોર્ટે પૂછ્યું કે, ઉત્તર ભારતમાં રહેતી કોઈ બિન-શ્રદ્ધાળુ વ્યક્તિ આખરે કયા આધારે સબરીમાલા મંદિરમાં પ્રવેશનો અધિકાર માંગી શકે

(સંપૂર્ણ સમાચાર સેવા)

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અને ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલા મામલાઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે. કોર્ટે પૂછ્યું કે, ઉત્તર ભારતમાં રહેતી કોઈ બિન-શ્રદ્ધાળુ વ્યક્તિ આખરે કયા આધારે સબરીમાલા મંદિરમાં પ્રવેશનો અધિકાર માંગી શકે. અદાલતે સ્પષ્ટ કહ્યું કે, ‘સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય.’

સુનાવણી દરમિયાન જસ્ટિસ બી. વી. નાગરત્નાએ જણાવ્યું કે, ભારતની સભ્યતા અને ધાર્મિક ઇતિહાસને નજર અંદાજ કરવો શક્ય નથી. બંધારણની કલમ-૨૫ અને ૨૬ પણ આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી જ વિકસિત થઈ છે. કોર્ટના જણાવ્યા અનુસાર વર્તમાનને સમજવા માટે ભૂતકાળની અવગણના કરી શકાય નહીં.

મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળી રહ્યો નથી

નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે કહ્યું કે, મંદિર પ્રવેશના અધિકાર સાથે જોડાયેલા મામલાઓમાં એ જોવું જરૂરી છે કે, દાવો કરનાર વ્યક્તિ ભક્ત છે કે નહીં. કોર્ટે સંકેત આપ્યો કે, ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા મામલાઓમાં આસ્થાનું પાસું પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

કોર્ટે આ ટિપ્પણી તે અરજીઓની સુનાવણી દરમિયાન કરી છે, જેમાં સબરીમાલા સહિત વિવિધ ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથે કથિત ભેદભાવનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અદાલત આ મામલામાં ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતાના અધિકાર વચ્ચેના સંતુલન પર વિચાર કરી રહી છે.

વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંગે દલીલ કરી કે, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટનો અગાઉનો ર્નિણય હજુ પણ અસ્તિત્વમાં છે અને તેના પર કોઈ સ્ટે નથી. તેમ છતાં મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળી રહ્યો નથી જેનું કારણ રાજ્ય સરકારનો અસહયોગ છે.

તેમણે એમ પણ કહ્યું કે, અદાલત ધર્મની વ્યાખ્યા નક્કી કરતી નથી પરંતુ તે નક્કી કરવું ધાર્મિક પરંપરાઓ અને માન્યતાઓનો વિષય છે. સુનાવણી દરમિયાન એ પણ ચર્ચા થઈ કે શું બંધારણને સંપૂર્ણ રીતે નવા દૃષ્ટિકોણથી જોવું જોઈએ કે પછી ઐતિહાસિક સંદર્ભોને ધ્યાનમાં રાખીને તેની વ્યાખ્યા કરવી જાેઈએ. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઊંડી ચર્ચા થઈ હતી.

તેમણે કહ્યું કે, મહિલાઓને ૧૦થી ૫૦ વર્ષની વય વચ્ચે મંદિરમાં પ્રવેશતાં અટકાવવી એ અધિકારોથી વંચિત રાખવા સમાન છે. જયસિંગે સુપ્રીમ કોર્ટના ૨૦૧૮ના ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તે ર્નિણયમાં મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો હતો. આમ છતાં આજે પણ મહિલાઓને મંદિરમાં પ્રવેશમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.

કોર્ટે આ બાબતે સ્પષ્ટ કહ્યું કે, મહિલાને તેના સામાજિક વર્ગના કારણે નહીં પરંતુ વય જૂથના આધારે રોકવામાં આવી હતી. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે, વિવિધતા એ જ ભારતની શક્તિ છે અને બંધારણની કલમ ૨૬ હેઠળ ધાર્મિક સંપ્રદાયોને પોતાના મામલાઓનું સંચાલન કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે, કોઈ ધાર્મિક પ્રથાને આવશ્યક કે બિન-આવશ્યક જાહેર કરવી એ ન્યાયાલય માટે અત્યંત જટિલ કાર્ય છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.