Last Updated on by Sampurna Samachar
હવે જો આ નિવેદન આવશે તો માઠા પરિણામ ભોગવવા પડશે
અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વીર સાવરકરના વારંવાર અપમાનના મુદ્દે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. અદાલતે રાહુલ ગાંધીના નિવેદનોને બેજવાબદારીભર્યા ગણાવ્યા છે. એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં આ બાબતે સાવધાન રહેવા ચેતવણી પણ આપી છે.
વીર સાવરકર વિરોધી નિવેદનોના કેસમાં રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ ચાલી રહ્યો છે અને આ કેસમાં તેમની સામે જારી થયેલું સમન્સ રદ કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે.
વર્ષ ૨૦૨૨ માં ભારત જોડો યાત્રામાં આપ્યુ હતુ નિવેદન
મળતા અહેવાલો મુજબ, સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને કહ્યું કે, જેમણે આપણને સ્વતંત્રતા અપાવી તેની સાથે તમે આવો વ્યવહાર કરી રહ્યા છો ! ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ મનમોહનની બેન્ચે કોંગ્રેસ નેતાને હવે પછી સાવરકર વિરદ્ધ કોઈ અપમાનજનક નિવેદન ન કરવા ચેતવણી આપી અને સાથે કહ્યું કે, મહારાષ્ટ્રમાં વીર સાવકરની પૂજા કરવામાં આવે છે. કોર્ટે એવું પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હવે જો આ રીતે નિવેદન કરવામાં આવશે તો તેનાં પરિણામ ભોગવવા પડશે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે રાહુલ ગાંધીને કહ્યું કે, અમે સ્વતંત્રતા સેનાનીઓ વિરુદ્ધના નિવેદનો ચલાવી લઈશું નહીં. આ વખતે તમે સાવરકર વિરુદ્ધ નિવેદન કર્યું, ભવિષ્યમાં કોઈ કહેશે કે, મહાત્મા ગાંધી અંગ્રેજોના નોકર હતા. માટે સાવધાની રાખો, અન્યથા હવે પછી અમે જાતે આ બાબતને ધ્યાનમાં લઈશું, અર્થાત સુઓ મોટો કરીશું.
આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે ઝટકો આપ્યો હતો. હાઈકોર્ટે રાહુલ ગાંધી સામેના સમન્સ આદેશને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટની લખનૌ બેન્ચે કોર્ટમાં ચાલી રહેલા સાવરકર માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
આ માનહાનિનો કેસ ૨૦૨૨માં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના મહારાષ્ટ્રમાં આપેલા વિવાદાસ્પદ નિવેદન સાથે સંબંધિત છે. જેમાં રાહુલ ગાંધીએ સાવરકરને ‘અંગ્રેજોનો નોકર’ ગણાવ્યા હતા. તેમજ કહ્યું હતું કે સાવરકર ‘અંગ્રેજો પાસેથી પેન્શન લેતા હતા.’ રાહુલ ગાંધીના એ નિવેદન સામે વકીલ નૃપેન્દ્ર પાંડેએ આ અંગે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. નીચલી અદાલતે રાહુલ ગાંધી સામે પ્રથમ દર્શન ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩(છ) અને ૫૦૫ હેઠળ કેસ માનીને રાહુલ ગાંધીને સમન જારી કર્યું હતું.