Last Updated on by Sampurna Samachar
મમતા સરકારે માતાઓને રડાવી અને ગૂંડાઓનો સાથ આપ્યો
ભાજપ સરકાર બનશે તો મહિલાઓને ૫ લાખ રૂપિયા સુધીનું મફત ઈલાજ મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના બોંગાંવમાં રવિવારે ૨૬ એપ્રિલ યોજાયેલી વિજય સંકલ્પ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, TMC ની ર્નિમમતા એ બંગાળની ઓળખને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

૧૫ વર્ષ પહેલા TMC ‘મા-માટી-માનુષ’ના નારા સાથે સત્તામાં આવી હતી, પણ આજે તેમના મોઢેથી આ શબ્દો પણ નીકળતા નથી. જો તેઓ તેનો ઉલ્લેખ કરશે તો તેમના પાપ બહાર આવી જશે. TMC ની ર્નિમમતા એ માતાઓને રડાવી, માટીને માફિયાઓ અને ઘુસણખોરોને સોંપી દીધી અને માનુષને સ્થળાંતર માટે મજબૂર કરી દીધા છે.
પીએમ મોદીએ TMC સરકાર પર ગંભીર આરોપ
પીએમ મોદીએ કહ્યું કે, બંગાળ પાસે અગણિત શક્યતાઓ છે અને આ રાજ્ય ફરીથી દેશનું નંબર ૧ રાજ્ય બની શકે છે. પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કરતાં કહ્યું કે, નેતાજીએ કહ્યું હતું, ‘તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ.’ આજે બંગાળને તમારા એક મતની જરૂર છે. તમે અમને તમારો મત આપો, અમે તમને TMC થી મુક્તિ અપાવશું.
પીએમ મોદીએ પહેલા તબક્કાના મતદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જનતાએ પહેલા તબક્કામાં જ TMC ના અહંકારને તોડી નાખ્યો છે અને બીજા તબક્કામાં ભાજપની મોટી જીત નિશ્ચિત છે. મહિલાઓની સુરક્ષા અંગે પીએમ મોદીએ TMC સરકાર પર ગંભીર આરોપ મૂક્યા.
તેમણે કહ્યું, “TMC ના મહા જંગલરાજની સૌથી મોટી પીડિત અમારી બહેનો અને દીકરીઓ છે. સંદેશખાલીમાં બહેનો સાથે અન્યાય થયો, પણ સરકાર ગુંડાઓની સાથે રહી. દીકરીઓ ગુમ થઈ રહી છે અને સરકાર સૂઈ રહી છે.” તેમણે જનતાને અપીલ કરી કે આવી ઘટનાઓ ક્યારેય ભૂલવી નહીં જોઈએ અને ૪ મે પછી ભાજપ સરકાર બનશે ત્યારે દોષિતો સામે કડક કાર્યવાહી થશે.
સભામાં પીએમ મોદીએ મહિલાઓ માટે અનેક વચનો આપ્યા. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર બનશે તો મહિલાઓને ૫ લાખ રૂપિયા સુધીનું મફત ઈલાજ મળશે. જન ઔષધિ કેન્દ્રો પર ૮૦ ટકા સુધી સસ્તી દવાઓ મળશે. બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની તપાસ અને રસીકરણ મફત રહેશે. ગર્ભાવસ્થામાં ૨૧,૦૦૦ રૂપિયાની સહાય અને દીકરીઓની ગ્રેજ્યુએશન માટે ૫૦,૦૦૦ રૂપિયાની મદદ મળશે.
પીએમ મોદીએ કહ્યું કે, દીકરીઓની અભ્યાસ અને દવાઓની સંપૂર્ણ જવાબદારી ભાજપ સરકાર લેશે. ઉપરાંત, પીએમ મોદીએ દર વર્ષે ૩૬,૦૦૦ રૂપિયા સીધા મહિલાઓના ખાતામાં જમા કરાવવાનો, આંગણવાડી અને મહિલા હેલ્થ વર્કર્સના પગારમાં સુધારો કરવાનો અને સરકારી નોકરીઓમાં દીકરીઓને ૩૩ ટકા આરક્ષણ આપવાનો પણ વચન આપ્યો હતો.