Last Updated on by Sampurna Samachar
આગામી ૧૫ જૂન પહેલાં તમામ કામગીરી પૂર્ણ કરવા સૂચના
નાના-મોટા વરસાદી વોંકળા, કેનાલો અને ડ્રેનેજ લાઈનોની સફાઈને વેગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ચોમાસુ બેસે તે પહેલા સરકાર દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આગામી ૧૫ જૂન પહેલાં ‘પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન’ અંતર્ગત તમામ કામગીરી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. ચોમાસા દરમિયાન ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સૌથી મોટી ચિંતા બની રહેતી હોય છે. આ સમસ્યાના નિવારણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા શહેરના નાના-મોટા વરસાદી વોંકળા, કેનાલો અને ડ્રેનેજ લાઈનોની સફાઈ કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.

ગત વર્ષોમાં જ્યાં વધુ વોટરલોગિંગની ફરિયાદો નોંધાઈ હતી તેવા વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ડ્રેનેજ લાઈનોમાંથી કચરો અને કાંપ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જ્યાં જરૂરી જણાશે ત્યાં પહેલાથી જ વોટર પંપ ગોઠવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી ભારે વરસાદ દરમિયાન પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે. શહેરોમાં વરસાદી પાણીના પ્રવાહમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે સંબંધિત વિભાગોને સતત મોનિટરિંગ રાખવા સૂચના આપવામાં આવી છે.
૧૫ જૂન સુધીમાં કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવા સૂચના
ચોમાસા દરમિયાન ભારે પવન અને વાવાઝોડા જેવી પરિસ્થિતિઓમાં અકસ્માતો ન બને તે માટે સુરક્ષાત્મક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. જોખમી વૃક્ષોની છાંટણી શરૂ કરવામાં આવી છે, જ્યારે રસ્તાઓ પર લગાવવામાં આવેલા જોખમી હોર્ડિંગ્સની તપાસ કરીને તેને ઉતારી લેવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મહાનગરોમાં જર્જરિત મકાનો સામે પણ તંત્ર સક્રિય બન્યું છે. જોખમી ઇમારતોને નોટિસ પાઠવી ખાલી કરાવવાની તેમજ જરૂર જણાય ત્યાં તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાથે જ વીજળીના થાંભલા અને વાયરોનું મેન્ટેનન્સ કરીને શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓ અટકાવવા પણ આયોજન હાથ ધરાયું છે.
રાજ્ય સરકાર દ્વારા આગામી ૧ જૂનથી તમામ મહાનગરોમાં ૨૪ કલાક કાર્યરત રહે તેવા મોન્સૂન કંટ્રોલ રૂમ શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ વરસાદી પરિસ્થિતિ, પાણી ભરાવા અને ઇમરજન્સી સ્થિતિ પર સતત નજર રાખશે. ઉપરાંત રેસ્ક્યુ ટીમોની સજ્જતા ચકાસવા માટે મોકડ્રિલ પણ યોજાશે, જેથી પૂર અથવા આપત્તિના સમયે તાત્કાલિક કામગીરી કરી શકાય.
સરકારના ઉચ્ચ સ્તરે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તમામ મનપા કમિશનરોને ૧૫ જૂન સુધીમાં સફાઈ તેમજ સુરક્ષા સંબંધિત કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે.