Last Updated on by Sampurna Samachar
ST બસોમાં ડિજિટલ મોડનો દબદબો
GSRTC ની આ પહેલ ખરેખર પ્રશંસનીય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મુસાફરો માટે પેમેન્ટ માટે અનૂકૂળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની બસોમાં પ્રવાસ કરતા મુસાફરો માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો જબરદસ્ત વ્યાપ વધી રહ્યો છે. આકંડાઓ તેની સાબિતી પુરે છે. હાલમાં, નિગમની દૈનિક આવકમાં લગભગ ૩૦ ટકા આવક કેશલેસ માધ્યમોથી થાય છે.

અમદાવાદનાં રહેવાસી એ તાજેતરમાં GSRTC ની પ્રીમિયમ બસમાં વડોદરા જવા માટે મુસાફરી કરી હતી. રોકડ કે છુટા પૈસાની ચિંતા કર્યા વગર તેમણે કન્ડક્ટર દ્વારા તરત જ જનરેટ કરાયેલા ઊઇ કોડને સ્કેન કરીને ટિકિટનું પેમેન્ટ કર્યુ. “GSRTC ની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. મારા જેવા હજ્જારો લોકો નિયમિત રીતે માત્ર ડિજિટલ પેમેન્ટનો જ ઉપયોગ કરે છે. તેમના માટે આ વ્યવસ્થા અત્યંત સુવિધાજનક છે,” મનીષ ઘાંચીએ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની પ્રસંશા કરતા જણાવ્યું.
ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં લગભગ ૮૫ ટકા હિસ્સો UPI નો
રાજ્યભરમાં હવે હજારો મુસાફરોને મુસાફરી દરમિયાન રોકડ રાખવાની જરૂર રહેતી નથી. GSRTC હવે UPI , ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઇલ આધારિત ઓનલાઇન પેમેન્ટ સહિતના અનેક ડિજિટલ વિકલ્પો દ્વારા ટિકિટ ચુકવણીની સુવિધા આપે છે.
એટલુ જ નહીં. ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વધતા ઉપયોગથી નિગમની કાર્યક્ષમતા અને પારદર્શક્તામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં ૮,૦૦૦થી વધુ બસોમાં પ્રવાસ કરતા મુસાફરો વિવિધ ડિજિટલ માધ્યમોથી પેમેન્ટ કરી શકે છે. આ પહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના વ્યાપક પ્રયાસોને સાર્થક સાબિત કરે છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અંતરિયાળ વિસ્તારોમાં બસની સુવિધા વધારવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને દૈનિક મુસાફરોની સંખ્યા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
સરેરાશ ૨૭ લાખ મુસાફરો નિગમની બસોમાં પ્રવાસ કરે છે અને અંદાજે રોજ રૂ. ૧૨ કરોડની આવક થાય છે. તેમાંની લગભગ ૩૦ ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે. દૈનિક ડિજિટલ કલેક્શન છેલ્લા એક વર્ષમાં લગભગ રૂ. ૧ કરોડથી વધીને હાલમાં રૂ. ૨ કરોડથી વધુ થઈ ગયું છે અને સતત વધી રહ્યું છે. અમે કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યા છીએ અને આ પહેલ ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેનો ભાગ છે,” નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નિગમ દ્વારા વિદ્યાર્થીઓનાં પાસ માટેની ચુકવણી પણ ડિજિટલ કરી છે, જેનાથી ડિજિટલ આવકમાં વધારો થયો છે.
આગામી સમયમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધુ વધારવાનું આયોજન હાથ ધર્યુ છે. આગામી મહિનાઓમાં અમે ડિજિટલ પેમેન્ટનો હિસ્સો ૬૦થી ૭૦ ટકા સુધી વધારવાનું લક્ષ્ય રાખીએ છીએ.
આ માટે કોમર્શિયલ સેવાઓ અને પેસેન્જર પાસ સિસ્ટમમાં પણ આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાવીશુ,” નિગમનાં ઉચ્ચ અધિકારીએ જણાવ્યું. ઉલ્લેખનીય છે કે GSRTC માં થતા કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં લગભગ ૮૫ ટકા હિસ્સો UPI નો છે. આ આંકડો દર્શાવે છે કે, ગુજરાતભરમાં યુપીઆઇનો વ્યાપ કેટલો વધ્યો છે.