Last Updated on by Sampurna Samachar
દરેક જગ્યાએ દરેક વ્યક્તિને કાયદાનુ પાલન કરવુ ફરજીયાત
ધાર્મિક સ્થળ, પૂજા કે જાહેર કાર્યક્રમને લઇ ગાઇડલાઇન્સ જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ શુભેન્દુ અધિકારી સરકારે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે નવી અને કડક ગાઇડલાઇન્સ જાહેર કરી છે. સરકાર દ્વારા પોલીસ વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે કોઈપણ ધાર્મિક સ્થળ, પૂજા કે જાહેર કાર્યક્રમમાં હાઇકોર્ટના માપદંડોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં.

પોલીસને દરેક વિસ્તારમાં અવાજની તીવ્રતા પર દેખરેખ રાખવા અને જો નિર્ધારિત ડેસિબલ કરતાં વધુ અવાજ જોવા મળે, તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશો અપાયા છે. સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે આ નિયમો દરેક માટે સમાન રીતે લાગુ પડશે. મંદિર હોય, મસ્જિદ હોય કે અન્ય કોઈ ધાર્મિક આયોજન, ધ્વનિ પ્રદૂષણ સાથે જોડાયેલા કાયદાઓનું પાલન કરવું દરેક માટે ફરજિયાત છે.
રાજ્યમાં વહીવટી પારદર્શિતા વધવાની આશા
રાજ્યમાં જાહેર શાંતિ જાળવવા માટે પોલીસને આ આદેશોનો તાત્કાલિક પ્રભાવથી અમલ કરવા સૂચના આપવામાં આવી છે. લાઉડ સ્પીકર ઉપરાંત, બંગાળ સરકારે ગેરકાયદે ટોલ વસૂલી ડામવા માટે પણ જિલ્લા વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપી છે.
સરકારના આદેશ મુજબ, જે પણ ટોલ ગેટ, ડ્રોપ ગેટ કે બેરિકેડવાળી સંરચનાઓ પશ્ચિમ બંગાળ સરકારના સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત નથી, તેમને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવશે. આ પગલું વાહનોની અવરજવરને સરળ બનાવવા અને અનધિકૃત ઉઘરાણા રોકવા માટે લેવામાં આવ્યું છે.
સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટોને તેમના અધિકાર ક્ષેત્રમાં આવતા આવા તમામ અનધિકૃત ટોલ અને ડ્રોપ ગેટોની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ માળખાંઓને માત્ર બંધ જ નહીં, પરંતુ તે ફરીથી સ્થાપિત ન થાય તે માટે જરૂરી પગલાં લેવાની પણ ખાતરી કરવા સૂચના અપાઈ છે. સરકારના આ કડક વલણથી રાજ્યમાં વહીવટી પારદર્શિતા વધવાની આશા છે.