Last Updated on by Sampurna Samachar
PM મોદીની ઈંધણ બચાવો અપીલ બાદ સરકારની સ્પષ્ટતા
નાગરિકોએ ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી , સરકારે કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક તણાવ વચ્ચે દેશવાસીઓને ઈંધણ બચાવવા માટે કરેલી અપીલના એક દિવસ બાદ કેન્દ્ર સરકારે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. સરકારે સ્પષ્ટતા આપી કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG કે ક્રૂડ ઓઈલની કોઈ પણ પ્રકારની અછત નથી, તેથી નાગરિકોએ ગભરાવાની કે પેનિક બાયિંગ કરવાની જરૂર નથી.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સ્થિતિ અંગે યોજાયેલી આંતર-મંત્રાલય બ્રીફિંગ દરમિયાન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત પાસે ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને આ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષની અસર ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
બિનજરૂરી મુસાફરી ઘટાડવા અને ઈંધણ બચાવવા સંદેશ
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, “ભારત પાસે ક્રૂડ ઓઈલ, LPG , પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. ભારતની ઉર્જા આયાતનો લગભગ ૯૦% હિસ્સો અસરગ્રસ્ત પ્રદેશમાંથી આવે છે, પરંતુ સરકારે સપ્લાયમાં કોઈ પણ વિક્ષેપ ન આવે તે માટે ઝડપી પગલાં લીધા છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “કોઈ અછત નથી. વડાપ્રધાનની તાજેતરની અપીલને ઉર્જા સંરક્ષણ અને વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં દેશ પરના આર્થિક બોજને ઘટાડવાના પ્રયાસ તરીકે જોવી જોઈએ.” અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે વડાપ્રધાન મોદીએ બિનજરૂરી મુસાફરી ઘટાડવા અને ઈંધણ બચાવવા માટે જે સંદેશ આપ્યો હતો, તેને પુરવઠાની અછતના પ્રતિભાવ તરીકે નહીં, પરંતુ ઉર્જા બચાવવાની ભાવના તરીકે જોવો જોઈએ. વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ ઊર્જા બજારોને અસર કરી રહ્યા છે ત્યારે જવાબદાર ઉપયોગ પ્રોત્સાહિત કરવા માટે આ અપીલ કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત તેના ઉર્જા સંરક્ષણ અને પુરવઠાના પ્રયાસોના ભાગરૂપે અનેક દેશો પાસેથી ઉર્જા ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ભારતના વલણને દોહરાવતા કહ્યું કે ભારત શરૂઆતથી જ શાંતિ અને સંવાદનું સમર્થન કરે છે.
બંદર અને શિપિંગ મંત્રાલયના અધિકારી ઓપેશ શર્માએ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં ૧૦ ભારતીય ધ્વજ ધરાવતા જહાજો કોઈ પણ વધારાના ચાર્જ ચૂકવ્યા વિના સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. હજુ ૧૩ જહાજો આ પ્રદેશમાં છે અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાના પ્રયત્નો ચાલુ છે. ક્રૂ મેમ્બરોની સુખ-સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.