Last Updated on by Sampurna Samachar
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાનુ નિવેદન
મિડલ ઇસ્ટમાં યુદ્ધ ચાલુ રહેશે તો મોંઘવારી વધી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
આગામી દિવસોમાં સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો મિડલ ઈસ્ટમાં લાંબા સમય સુધી યુદ્ધની સ્થિતિ ચાલુ રહેશે, તો ભારતને ઈંધણના ભાવમાં વધારો કરવાની ફરજ પડી શકે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે, જો યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો સરકાર ભાવ વધારાનો કેટલોક ભાગ ગ્રાહકો પર નાખશે. રાજ્યના ઇંધણ રિટેલર્સ ક્રૂડ ઓઇલના વધતા ભાવનો બોજ સહન કરી રહ્યા છે. એપ્રિલમાં ભારતમાં ફુગાવો વધીને ૩.૪૮ ટકા થયો. આ અપેક્ષા કરતા ઓછો હતો કારણ કે સરકારે ક્રૂડ ઓઈલના વધેલા ભાવનો બોજ ઉઠાવ્યો હતો.
ભારત સરકારની ક્રૂડ ઓઈલના ભાવ પર ચાંપતી નજર
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિદેશી હૂંડિયામણને બચાવવા માટે નાગરિકોને સ્વૈચ્છિક ખર્ચમાં ઘટાડો કરવા વિનંતી કરી છે.તેમણે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવા પર ભાર મૂક્યો હતા. આ ઉપરાંત સોનાની ખરીદી મુલતવી રાખવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે સરકારે સોના પરની આયાત ડ્યુટી પણ બમણી કરી દીધી છે.
રિઝર્વ બેન્કે આ નાણાકીય વર્ષમાં ૬.૯ ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો છે, જેમાં ફુગાવાનો સરેરાશ ૪.૬ ટકા રહેવાની ધારણા છે. નોંધનીય છે કે,રિઝર્વ બેન્કે એપ્રિલમાં તેનો મુખ્ય નીતિ રેપો રેટ ૫.૨૫ ટકા રાખ્યો હતો. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધને કારણે સપ્લાય-ચેઇનમાં વિક્ષેપ પડી રહ્યો છે, જેની સીધી અસર ભારત પર થઈ રહી છે.
જો આ વિક્ષેપ વધશે તો નાણાકીય સંકલન વધુ મુશ્કેલ બનશે અને આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી પડી શકે છે. હાલમાં ભારત સરકાર ક્રૂડ ઓઈલના ભાવ પર ચાંપતી નજર રાખી રહી છે, પરંતુ વૈશ્વિક અસ્થિરતા જો જોતા ઈંધણના ભાવમાં વધારો હવે અનિવાર્ય જણાતો હોય તેવું ચિત્ર ઊભું થયું છે.