Last Updated on by Sampurna Samachar
નીટ પેપર લીક મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પ્રહારો
વિદ્યાર્થીઓ પેપરલીકને લઈને નારેબાજી કરતા જોવા મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નીટ પેપર લીક મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર તીખા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે જ્યાં સુધી મજબૂત વ્યવસ્થા નહીં બને ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રહેશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર પ્રહારો કર્યા, અને કહ્યું કે કોંગ્રેસ ત્યાં સુધી શાંત નહીં બેસે જ્યાં સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, અને પરીક્ષાની પદ્ધતિને પારદર્શક અને સુરક્ષિત નહીં બનાવે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હૈદરાબાદના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પેપરલીકને લઈને નારેબાજી કરીને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર સામે પણ વિદ્યાર્થીઓ નારેબાજી કરતા જોવા મળી રહ્યા છે.
સરકાર પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને સુરક્ષામાં નિષ્ફળ
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં કહ્યુ છે કે, લાખો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હોય, ૨૨ લાખ વિદ્યાર્થીનું ભવિષ્ય દાવ પર લાગ્યુ હોય અને વડાપ્રધાન ચૂપ રહે, તો એ વાત સ્પષ્ટ છે કે સરકાર જવાબ આપવાના બદલે બચાવ કરવામાં લાગી છે. તેમણે કહ્યુ છે કે, જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે અને નીટ જેવા પેપરલીકને રોકવામાં મજબૂત અને ફુલપ્રુફ વ્યવસ્થા લાગૂ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસનો સંઘર્ષ યથાવત રહેશે.
મહત્વનું છે કે કોંગ્રેસ સતત નીટ-યુજી પરીક્ષા રદ્દ થવાને પગલે શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરી રહી છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને સુરક્ષા બનાવી રાખવામાં નિષ્ફળ નીવડી છે.