Last Updated on by Sampurna Samachar
બ્રાહ્મણ સમાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી
વિરોધ વધતા રાજકુમાર ભાટીએ માફી માંગી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજકુમાર ભાટીના એક વિવાદિત નિવેદનને કારણે ભારે હોબાળો મચી ગયો છે. રાજકુમાર ભાટીએ બ્રાહ્મણ સમાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરતા ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ આદરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં રાજકુમાર ભાટીને એમ કહેતા સાંભળવા મળે છે કે, “ન તો બ્રાહ્મણ સારો હોય છે, અને ન તો કોઈ તવાયફ”. ભાજપના નેતા અજય શર્માની ફરિયાદના આધારે પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. વિરોધ વધતા ભાટીએ માફી માંગી હતી અને દાવો કર્યો હતો કે તેમના ભાષણના અમુક અંશોને કાપીને ખોટો પ્રચાર કરવા માટે વાપરવામાં આવ્યા છે.
સપાના અનેક નેતાઓ આવા નિવેદનો આપી ચુક્યાં
આ અંગે યુપીના નાયબ મુખ્યપ્રધાન બ્રજેશ પાઠકે જણાવ્યું કે, સમાજવાદી પાર્ટીનું અસલી ચરિત્ર અને નફરતભરી માનસિકતા ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. બ્રાહ્મણ સમુદાયે દેશના નિર્માણમાં મોટું યોગદાન આપ્યું છે અને આવી ટિપ્પણીઓ નિંદનીય છે.
અખિલેશ યાદવે સ્પષ્ટતા કરવી જોઈએ કે શું આ તેમની પાર્ટીની વિચારધારા છે અને ભાટી સામે કડક પગલાં લેવા જોઈએ. ડેપ્યુટી મુખ્યમંત્રીએ આ તકે આઝમ ખાન, સ્વામી પ્રસાદ મૌર્ય અને સપાના અન્ય નેતાઓ દ્વારા અગાઉ સનાતન ધર્મ અને મહાનુભાવો વિશે કરવામાં આવેલા વિવાદિત નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાયે જણાવ્યું કે, રાજકીય મતભેદો હોઈ શકે છે, પરંતુ સમગ્ર સમુદાયનું અપમાન ક્યારેય સ્વીકાર્ય નથી. માત્ર માફી પૂરતી નથી, સપાએ આવા જવાબદાર નેતાઓ સામે શિસ્તભંગના કડક પગલાં લેવા જોઈએ. સપા પાર્ટી અને તેના નેતાઓની માનસિકતા જ આ પ્રકારની હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, સપાના અનેક નેતાઓ આ પ્રકારનાં નિવેદનો આપી ચુક્યાં છે.