Last Updated on by Sampurna Samachar
ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ ઓથોરિટી કરે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાથી ભારતીયોની વાપસી અંગે સંસદમાં મચેલી બબાલને શાંત કરવા માટે વિદેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં નિવેદન આપ્યું અને સાથે સાથે એ પણ જણાવ્યું કે આ તમામ ભારતીયોને કેમ અમેરિકી વાયુસેનાના વિમાનમાં હાથ પગ બાંધીને બેસાડવામાં આવ્યા હતા?
આ બાબતે એસ જયશંકરે જણાવ્યું કે આ તમામ દેશોની જવાબદારી છે કે જો તેમના નાગરિક વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા મળી આવે તો તેમને પાછા લઈ લેવા જોઈએ. એસ જયશંકરે વધુમાં કહ્યું કે અમેરિકામાં લોકોને પાછા મોકલવાની એટલે કે ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ત્યાંની ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ઓથોરિટી કરે છે.
ભારતીયોને સાંકળથી હાથ પગ બાંધવા અંગે મચેલા વિવાદ પર બોલતા તેમણે કહ્યું કે, ૨૦૧૨થી લાગૂ એક નિયમ મુજબ જ્યારે લોકોને વિમાનથી પાછા મોકલવામાં આવે છે ત્યારે તેમને સુરક્ષા માટે બાંધીને (રિસ્ટ્રેન) રાખવામાં આવે છે. પરંતુ ICE એ અમને જણાવ્યું છે કે મહિલાઓ અને બાળકો આ પ્રક્રિયાથી મુક્ત હોય છે. એટલે કે તેમને બાંધવામાં આવતા નથી.
જોકે એસ જયશંકરે વધુમાં કહ્યું કે અમે અમેરિકી સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે પાછા ફરનારા લોકો સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર ન થાય. અમેરિકાથી ભારત પાછા લાવવામાં આવેલા ૧૦૪ ભારતીયો મુદ્દે વિદેશ મંત્રી જયશંકરે સંસદમાં કહ્યું કે ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવાનો આ મામલો કોઈ નવો નથી.
અમેરિકી નિયમો મુજબ આ રીતે ભારતીયોને મોકલવામાં આવ્યા છે. વિદેશમંત્રીએ કહ્યું કે ડિપોર્ટેશનનો નિયમ કોઈ નવો નથી. અનેક વર્ષોથી આવું થાય છે. ૨૦૧૨ થી જ આ નિયમ લાગૂ છે. દરેક દેશમાં લોકોની રાષ્ટ્રીયતાની તપાસ થાય છે.
તેમણે ૨૦૦૯ થી અત્યાર સુધીના આંકડા પણ ગણાવ્યા અને કહ્યું કે દર વર્ષે ગેરકાયદે અપ્રવાસીઓને પાછા મોકલવામાં આવે છે. અમેરિકા ડિપોર્ટેશનનું કામ ICI વિભાગ હેઠળ કરે છે. આ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ૨૦૧૨થી જ પ્રભાવી છે. લીગલ મોબિલિટીને પ્રોત્સાહન આપવું અને ગેરકાયદેસર રીતે વિદેશ જતા લોકોને રોકવા એ અમારી સામૂહિક જવાબદારી છે.