Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટે બાળ સાક્ષીની જુબાનીના આધારે હત્યારા પતિને ફટકારી સજા
હત્યા સમયે પિડીતાની દિકરી સાત વર્ષની હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળ સાક્ષી ‘સક્ષમ સાક્ષી’ છે અને તેના પુરાવાને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. આ સાથે કોર્ટે હાઇકોર્ટના ર્નિણયને ફગાવી દીધો અને એક વ્યક્તિને આપવામાં આવેલી આજીવન કેદની સજાને સમર્થન આપ્યું.
જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે જણાવ્યું હતું કે પુરાવા કાયદામાં સાક્ષી માટે કોઈ લઘુત્તમ વય મર્યાદા નથી અને બાળ સાક્ષી, જે જુબાની આપવા સક્ષમ જણાય છે, તેની જુબાની પુરાવા તરીકે સ્વીકાર્ય રહેશે. કોર્ટ એક મહિલાના હત્યા કેસની સુનાવણી કરી રહી હતી, જેને તેના પતિએ મારી નાખી હતી. કોર્ટે કહ્યું કે રેકોર્ડમાં એવું કઈ નથી જે એવું દર્શાવે છે કે પીડિતની દીકરી એક પ્રશિક્ષિત સાક્ષી હતી.
મહિલાના હત્યા કેસની સુનાવણી જુઓ …
બેન્ચે કહ્યું, “અદાલતોમાં ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવે છે જ્યાં પતિ, તણાવપૂર્ણ વૈવાહિક સંબંધો અને પત્નીના ચારિત્ર્ય પર શંકાને કારણે, તેની હત્યા કરવાની હદ સુધી જાય છે.” બેન્ચે કહ્યું કે આવા ગુનાઓ સામાન્ય રીતે ઘરની અંદર સંપૂર્ણ ગુપ્તતામાં કરવામાં આવે છે અને ફરિયાદ પક્ષ માટે પુરાવા રજૂ કરવા ખૂબ મુશ્કેલ બની જાય છે.
કોર્ટે કહ્યું કે પુરાવા અધિનિયમની કલમ ૧૧૮ મુજબ, બાળ સાક્ષીના પુરાવા નોંધતા પહેલા, ગૌણ અદાલત દ્વારા પ્રારંભિક તપાસ હાથ ધરવી જોઈએ જેથી ખાતરી કરી શકાય કે સાક્ષી પુરાવા આપવાની પવિત્રતા અને તેને પૂછવામાં આવતા પ્રશ્નોના મહત્વને સમજવામાં સક્ષમ છે કે નહીં.
જૂન ૨૦૧૦ માં હાઇકોર્ટના ચુકાદાને પડકારતી મધ્યપ્રદેશ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. ૨૦૦૩ માં, હાઇકોર્ટે એક મહિલાની હત્યાના આરોપી પુરુષને નિર્દોષ જાહેર કર્યો હતો. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે પીડિતાની પુત્રી (જે ઘટના સમયે સાત વર્ષની હતી) જુબાની આપવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તેની જુબાની “ખૂબ જ નબળી” લાગી, ખાસ કરીને પોલીસ સમક્ષ તેનું નિવેદન નોંધવામાં ૧૮ દિવસના વિલંબને ધ્યાનમાં લેતા.
સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) અપીલ સ્વીકારી અને હાઇકોર્ટના ર્નિણયને ફગાવી દીધો. તેણે ગૌણ અદાલતના ર્નિણયને પુનઃસ્થાપિત કર્યો જેમાં તે વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બેન્ચે તેમને સજા ભોગવવા માટે ચાર અઠવાડિયાની અંદર ગૌણ અદાલત સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો.