Last Updated on by Sampurna Samachar
હોર્મુઝની ખાડીમાં ઈરાનથી બચીને નીકળેલું જહાજ મુંબઈ પહોંચ્યું
સાઉદી અરેબિયાથી ૧,૩૫,૩૩૫ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને નીકળેલું લાઈબેરિયન જહાજ શેનલોંગ મુંબઈ બંદરે પહોંચ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને ઈરાન વચ્ચે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા જંગના કારણે દુનિયાભરમાં તેલના પુરવઠા પર મોટી અસર પડી છે, ત્યારે ભારત માટે એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરેબિયાથી ૧,૩૫,૩૩૫ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને નીકળેલું લાઈબેરિયન જહાજ ‘શેનલોંગ‘ સુરક્ષિત રીતે મુંબઈ બંદરે પહોંચી ગયું છે.

૨ અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ‘ને પસાર કરીને ભારત પહોંચનારું આ પ્રથમ ઓઇલ ટેન્કર છે. આ જહાજ મુંબઈના જવાહર દ્વીપ પર લાંગરવામાં આવ્યું છે અને ત્યાંથી તેલ ખાલી કરીને મુંબઈની રિફાઇનરીઓમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ભારતની ઊર્જા સુરક્ષા જળવાઈ રહેશે
આ જહાજની મુસાફરી જોખમોથી ભરેલી હતી. હુમલાખોરોની નજરથી બચવા માટે ભારતીય કેપ્ટન સુક્ષાંત સિંહ સંધુ અને ૨૯ ક્રૂ મેમ્બરોએ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થતી વખતે જહાજની ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી દીધી હતી. આ જહાજના આગમનથી દેશમાં તેલની અછત અને ખાસ કરીને એલપીજી સિલિન્ડરના પુરવઠામાં જે મુશ્કેલી પડી રહી હતી, તેમાં મોટી રાહત મળવાની આશા છે.
આ કાચા તેલને માહુલ વિસ્તારની રિફાઇનરીમાં પ્રોસેસ કરીને પેટ્રોલ, ડીઝલ અને ગેસ બનાવવામાં આવશે, જેનાથી ભારતની ઊર્જા સુરક્ષા જળવાઈ રહેશે.જોકે, એક તરફ આ સફળતા મળી છે, તો બીજી તરફ હજુ પણ ભારતના ૨૮ જેટલા જહાજો તે જોખમી વિસ્તારમાં ફસાયેલા છે. આ દરમિયાન એક ચિંતાજનક ઘટના પણ બની છે, જેમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સથી ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહેલા થાઈલેન્ડના જહાજ ‘મયુરી નારી‘ પર હુમલો થયો હતો.
ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ હુમલાની સખત નિંદા કરી છે અને જણાવ્યું છે કે વ્યાપારી જહાજોને નિશાન બનાવવા તે ગંભીર બાબત છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલી આ હિંસા વચ્ચે ભારત અત્યારે પોતાના અન્ય જહાજોની સુરક્ષા પર ચાંપતી નજર રાખી રહ્યું છે.