સુશાંતની આત્મહત્યા બાદ બહેન ભારત ભણી
કપરા સમયમાં પરિવારની સાથે જલદી જોડાવા સ્ટારની બહેન આતુર બની : સરકારને ઉપાય માટે વિનંતી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧૭
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ત્રણ દિવસ બાદ પણ લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે કે તે હવે આપણી વચ્ચે નથી. અભિનેતાના મૃત્યુ બાદ યુએસમાં રહેતી તેની બહેન શ્વેતા સિંહ કીર્તિ આ મુશ્કેલ સમયમાં તેના પિતાને ટેકો આપવા ભારત આવી રહી છે. કોરોના વાયરસના સંકટમાં ઘરે પહોંચતા પહેલા તેણે ભારત સરકારને અપીલ કરી હતી કે તેને સાત દિવસની ક્વારેન્ટાઈન મુદતમાં ન રખાય અને પરિવારને મળવાની છૂટ આપવામાં આવે. તેઓએ પૂછ્યું છે કે એવી કોઈ રીત છે કે જેના દ્વારા આ અવધિને ટાળી શકાય? વર્ષ ૨૦૨૦ માં બોલિવૂડને એક પછી એક મોટા આંચકા મળી રહ્યા છે. આ જ વર્ષે પીઢ અભિનેતા ઇરફાન ખાન, રીશી કપૂર, સંગીતકાર વાજિદ ખાન સહિત ઘણા મોટા કલાકારોના નિધન બાદ સુશાંત સિંહના મોતે બધાને હચમચાવી દીધા છે. સુશાંતના મોતથી તેમના પરિવારજનોને ભારે આંચકો લાગ્યો છે, સોમવારે રાત્રે તેની ભાભી દિયરના મોતનું દુખ સહન કરી શક્યા ન હતા અને તેણીએ પણ દમ તોડી દીધો હતો. સુશાંત તેના પરિવારમાં ચાર બહેનોનો એકમાત્ર ભાઈ હતો. અમેરિકામાં રહેતી તેની એક બહેન શ્વેતાસિંહ કીર્તિ ભારત આવી રહી છે. જો કે, ઘરે પરત ફર્યા બાદ, તેઓ કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ ૭ દિવસની ક્વોરેન્ટાઇન અંગે ચિંતિત છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર સરકારને અપીલ કરી છે. તેમણે લખ્યું, ’દરેકની મદદ બાદ ભારતની ટિકિટ મળી શકી છે. હું ૧૬ જૂનના રોજ ઉડાન ભરીને દિલ્હી થઈને મુંબઇ પહોંચીશ. તેમણે વધુમાં લખ્યું છે કે હું ૭ દિવસના ક્યુરેન્ટાઇન સમયગાળા વિશે ચિંતિત છું, શું કોઈ એવો ઉપાય છે કે આ અવધિ ટાળી શકાય? મારે
વહેલી તકે મારા પરિવાર પાસે જવાની જરૂર છે. ’ સુશાંતના મૃત્યુ પછી, તેની બહેને આ પોસ્ટ કરી. સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ સવારે તેના મુંબઇ ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી અને બીજા જ દિવસે ૧૫ જૂને મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. ભાઈને ગુમાવ્યા બાદ બહેન સ્વેતાએ પોસ્ટમાં લખ્યું કે હું મજબૂત રહેવાનો પ્રયત્ન કરું છું, જવાબ ન આપવા બદલ માફ કરશો. તમામ આશ્વાસન માટે આભાર .. તે મને શક્તિ આપે છે..હવે મારા પરિવાર માટે પ્રાર્થના કરો. પોલીસ સુશાંતના મૃત્યુ સાથે જોડાયેલા દરેક પાસાની પણ તપાસ કરશે, બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે પોલીસે નવો વળાંક લીધો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યાની વાત સામે આવી છે, જ્યારે મીડિયા રિપોટ્ર્સમાં પણ તેની હતાશાની વાત કરવામાં આવી રહી છે. હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે હતાશાના એંગલની પણ તપાસ થવી જોઇએ. તેમણે ટ્વીટ કર્યું છે કે મુંબઈ પોલીસ પણ આ પાસાની તપાસ કરશે.