Last Updated on by Sampurna Samachar
પાણીપુરીવાળાએ ચણા ખાવા નહીં આપતા કર્યો જીવલેણ હુમલો
પોલીસે ૩ શખ્સોની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડાયમંડ સિટી કહેવાતું સુરત હવે ક્રાઇમ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે, સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. નાની નાની વાતમાં જીવલેણ હુમલા તેમજ હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતના ડચ ગાર્ડન પાસે ત્રણ શખ્સો દ્વારા પાણીપુરીની લારી ચલાવનાર યુવક અને તેના પિતા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્રણેય શખ્સોએ ચપ્પુ અને લોખંડના સળિયા વડે પાણીપુરીની લારીવાળાને માર મારવામાં આવ્યો હતો. મારમારીનું કારણ એટલું જ હતું કે પાણીપુરીવાળાએ ચણા ખાવા નહીં આપતા પાણીપુરીની લારી ધરાવનાર વ્યક્તિ અને તેના દીકરા પર હુમલો કરાયો હતો. જોકે આ સમગ્ર મામલે અઠવા લાઇન્સ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને ત્રણેય શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. લારી બંધ થઈ જતા ચણા આપવાની ના પાડી હતી.
બનાવની વિગતવાર વાત કરીએ તો, સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ડચ ગાર્ડન પાસે ૪૯ વર્ષીય સંતરામ પ્રજાપતિ પોતાના દીકરા ભાનુપ્રતાપ સાથે પાણીપુરીની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પિતા પુત્ર ૨૬ નવેમ્બરના રોજ પોતાની લારી પર હાજર હતા. તે સમયે ત્રણ શખ્સો પાણીપુરીની લારી પર આવ્યા હતા અને આ ત્રણેયે ભાનુપ્રતાપ પાસેથી ચણા ખાવા માટે માંગ્યા હતા પરંતુ ભાનુપ્રતાપ લારી બંધ કરતો હોવાના કારણે તેણે ચણા આપવાની ના પાડી હતી.
ભાનુપ્રતાપે ચણા આપવાની ના પાડતા જ અલ્તમસ, અયાન અને મુસ્તફા રોષે ભરાઈ ગયો હતો અને તેણે સંતરામ પ્રજાપતિ અને તેના દીકરા ભાનુ પ્રતાપ પર હુમલો કરી દીધો હતો. આ ઝઘડા દરમિયાન અલ્તમેશ નામના ઇસમે પોતાની પાસે રહેલ ચપ્પુ વડે ભાનુપ્રતાપના સાથળના ભાગે બે ચપ્પુના ઘા મારી દીધા હતા.
દીકરાને ઈજા થતા તેના પિતા સંતરામ બચાવવા વચ્ચે પડતા આ ઇસમોએ સંતરામને પણ સળિયા વડે માર માર્યો હતો અને આ ઝઘડો ઉગ્ર બનતા લોકોના ટોળા ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા. લોકોના ટોળાને જાેઈને આ ત્રણેય હુમલાખોરો ભાગી ગયા હતા. આ ઉપરાંત આ બંને પિતા પુત્રને મારી નાખવાની ધમકી પણ આપી હતી.