Last Updated on by Sampurna Samachar
ધ્રોળના નથુવડલા ગામની ઘટના
આઠ મહિના પહેલાં ભાગીને કર્યા હતા લગ્ન
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદ જિલ્લાના ધાનપુરના વતની અને હાલ ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં વલ્લભભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગુલાબભાઈ વરસંગભાઈ પરમાર નામના ૨૬ વર્ષના શ્રમિક યુવાને નથુવડલા ગામમાં લખમણભાઇ બાંભવાની વાડીના શેઢે એક ઝાડની ડાળીમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.

આ બનાવ અંગે મૃતકના પિતા વરસંગભાઈ માનસંગભાઈ પરમારે પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે પૂછપરછ હાથ ધરી
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવાને આઠ મહિના પહેલાં નથુવડલા ગામની સીમમાં મજૂરી કામ કરતા ઉદેસિંગ સુનકાભાઈ બામણીયાની પુત્રી કાજલબેન સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. પરંતુ છેલ્લા ચાર મહિનાથી તેની પત્ની કાજલ રિસાઈને પોતાના પિતાને ઘેર નથુવડલા ગામે ચાલી ગઈ હતી, અને પરત આવતી ન હતી. જેના વિયોગમાં ગુલાબભાઈ પરમાર તેની વાડી પાસે ગયો હતો, ત્યારબાદ મોડી રાત્રે ઝાડની ડાળીમાં લટકી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.