Last Updated on by Sampurna Samachar
મેં ક્યારેય કોઈને મને મુખ્યમંત્રી બનાવવા માટે કહ્યું નથી
ડેપ્યુટી CM ડીકે શિવકુમારે પણ પ્રતિકિયા આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના રાજકારણમાં આ દિવસોમાં ખૂબ જ હંગામો ચાલી રહ્યો છે. એવી ચર્ચા છે કે હવે રાજ્યની કમાન કોઈ બીજાને સોંપવામાં આવશે. પરંતુ હવે ખુદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ બધી અફવાઓને ફગાવી દીધી અને સ્પષ્ટતા કરી કે, હા, ૫ વર્ષ સુધી હું જ CM રહીશ. શું આ બાબતે તમને કોઈ શંકા છે ? સિદ્ધારમૈયાએ આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે વિપક્ષો દાવો કરી રહ્યા હતા કે કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક મતભેદો છે અને કદાચ ડેપ્યુટી CM ડીકે શિવકુમારને રાજ્યના મુખ્યમંત્રી બનાવી શકાય છે.
આ મામલે ડેપ્યુટી CM ડીકે શિવકુમારે પણ પ્રતિકિયા આપી અને કહ્યું કે, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મારે પાર્ટીના ર્નિણયનો સ્વીકાર કરવો પડશે અને હું મુખ્યમંત્રીની સાથે ઊભો રહીશ. લાખો લોકોએ પાર્ટીને ટેકો આપ્યો છે અને હું પાર્ટીના ર્નિણયોનું પાલન કરીશ. તેમજ જ્યારે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી હોય છે, ત્યારે નેતૃત્વ પર કોઈ વિવાદ ન હોવો જોઈએ. પાર્ટી શિસ્ત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મેં ક્યારેય કોઈને મને મુખ્યમંત્રી બનાવવા માટે કહ્યું નથી.
પાર્ટીના ધારાસભ્યોએ કરી હતી માંગ
કર્ણાટકના બંને ટોચના નેતાઓના નિવેદનો એવા સમયે આવ્યા છે. જ્યારે પાર્ટીના ધારાસભ્યો ઘણા અઠવાડિયાથી ખુલ્લેઆમ માંગ કરી રહ્યા હતા કે શિવકુમારને તેમના કાર્યકાળની મધ્યમાં મુખ્યમંત્રી બનાવવામાં આવે.
લગભગ ૨ વર્ષ પહેલાં, મે ૨૦૨૩માં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો, લાંબા સમય સુધી ચર્ચા-વિચારણા કર્યા પછી, પાર્ટી નેતૃત્વ શિવકુમારને મનાવવામાં સફળ રહ્યું અને તેમને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવ્યા.
જોકે, તે સમયે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રોટેશનલ મુખ્યમંત્રી ફોર્મ્યુલા હેઠળ બંને નેતાઓ વચ્ચે એક કરાર છે, જે મુજબ શિવકુમાર અઢી વર્ષ પછી મુખ્યમંત્રી બનશે, પરંતુ પાર્ટી દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.