Last Updated on by Sampurna Samachar
JDUમાં સામેલ થયા નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર
નિશાંત કુમારે કહ્યું કે તેઓ છેલ્લા ૨૦ વર્ષમાં તેમના પિતાની નીતિશ કુમારની સિદ્ધિઓને લોકો સુધી લઈ જશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર રવિવારે જેડીયુમાં સામેલ થઈ ગયા છે. આ પ્રસંગે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહા, કેન્દ્રીય મંત્રી લલન સિંહ, સંજય ઝા, બિજેન્દ્ર યાદવ, વિજય ચૌધરી જેવા મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સભ્યપદ ગ્રહણ કરતી વખતે નિશાંત કુમારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

નિશાંત કુમારે કહ્યું, “અહીં હાજર રહેલા આપ સૌ લોકોનું અભિવાદન કરું છું અને આભાર વ્યક્ત કરું છું. હું જેડીયુ કાર્યાલય આવ્યો છું અને અહીં જેડીયુનું સભ્યપદ ગ્રહણ કરવા આવ્યો છું. હું એક સક્રિય સભ્ય તરીકે પાર્ટીનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીશ. મારા પિતાએ રાજ્યસભામાં જવાનો ર્નિણય લીધો છે, જે તેમનો અંગત ર્નિણય છે. હું તેનો સ્વીકાર કરું છું અને આદર કરું છું.”
બેઠકમાં પાર્ટીની આગામી રણનીતિની થઇ ચર્ચા
નિશાંતે કહ્યું, “પાર્ટીએ અને જનતાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તેના પર હું ખરો ઉતરવાનો પ્રયત્ન કરીશ. પાર્ટીના કાર્યકર તરીકે હું પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાની કોશિશ કરીશ. પપ્પાએ ૨૦ વર્ષમાં જે કર્યું છે, તેને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. મારા પિતાજીએ ૨૦ વર્ષમાં જે કર્યું છે તે દરેકને યાદ રહેશે. પિતાએ ૨૦ વર્ષમાં જે કાર્યો કર્યા છે તેના પર સમગ્ર દેશવાસીઓને ગર્વ છે.”
આ પ્રસંગે મુખ્યમંત્રી નીતીશ કુમાર હાજર નહોતા. નીતીશ કુમારના ક્યારેક નજીકના ગણાતા આરસીપી સિંહે x પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “પ્રિય નિશાંત, તમને સક્રિય રાજકારણમાં આવવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ.”
આ સભ્યપદ ગ્રહણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો નિશાંત કુમાર ઝિંદાબાદના નારા લગાવતા જાેવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા નિશાંત કુમારે જેડીયુના કાર્યકારી અધ્યક્ષના ઘરે ગત શનિવારે (૦૭ માર્ચ, ૨૦૨૬) પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને યુવા ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. બેઠકમાં પાર્ટીની આગામી રણનીતિ અને પાર્ટીને કેવી રીતે સારી રીતે આગળ વધારવી, તે બાબતે ચર્ચા થઈ હતી.